20 November 2014

બાપુ, મારા ગુરૂ




(If you cannot read Gujarati fonts, please click here for PDF version)


કાઠીયાવાડમાં બાપુ શબ્દ ઘણો પ્રચલિત છે. જેને પણ બાપુ કહીને બોલાવાય તે ક્ષત્રિય સમાજનાં જ છે તેમ સહુ કોઈ સમજે. પ્રવીણભાઈને સહુ કોઈ ‘બાપુ’ કહીને બોલાવે. ઘણાં તેને ક્ષત્રિય સમાજનાં સમજી લે. પણ જયારે જાણે કે પ્રવીણભાઈ તો જૈન વાણીયા છે અને તેઓની અટક તો શાહ છે ત્યારે તાજુબ રહી જાય.
અજાણ વ્યક્તિ તુરત પૂછે કે તો પછી સહુ કોઈ તેને ‘બાપુ’ કેમ કહે છે?! બસ અહીંથી જ પ્રવીણભાઈની ઓળખના દ્વાર ખુલે.

ડૉ. પ્રવીણભાઈ શાહે અમરેલી જિલ્લાના બાબાપુર મહિલા અધ્યાપન મંદિરમાં વર્ષો સુધી અધ્યાપક તરીકે સેવા આપી. છાત્રાલય, અધ્યાપન મંદિર, આચાર્ય અને અધ્યાપક નિવાસ બધું એક જ કેમ્પસમાં. બાપુ પણ અહીં જ રહે.

અધ્યાપન મંદિરમાં ભણવા આવતી દીકરીઓ છાત્રાલયમાં રહી ભણે. પ્રવીણભાઈ અહીં ભણતી બધી દીકરીઓને એક બાપ તરીકેનો પ્રેમ આપે. ખૂબ ધ્યાન રાખે, ખૂબ ભણાવે. ખૂબ ખેવના કરે. પોતાની દીકરીથી પણ વિશેષ રાખે. આ દીકરીઓને પ્રવીણભાઈ તેમના ‘બાપ’ સમા લાગે. બધી દિકરીઓ પ્રવીણભાઈને વ્હાલથી ‘બાપુ’ કહીને બોલાવે. ત્યારથી તેઓ ‘બાપુ’ કે ‘પ્રવીણબાપુ’ તરીકે ઓળખાયા.

બાપુએ શિક્ષણનો બેઝીક કોર્સ સણોસરામાં રહીને કર્યો. આજનાં ગોખણીયા શિક્ષણનો મજબુત વિકલ્પ પૂરો પાડે તેવો સર્વાંગી અભ્યાસક્રમ. શિક્ષણ અને કેળવણી વચ્ચે શું ફરક છે તે અહીંથી જ સમજાય. બાપુએ સણોસરા પછી પોરબંદરની ખ્યાતનામ રામબા બી.એડ કોલેજમાં M.Ed. કર્યું.  

બાપુ એક તો નિર્મળ પ્રેમના પ્રતીક. એમાં અહીં ગુરુજીઓ પણ સવાયા સાંપડ્યા. જ્ઞાન કરતાં પણ પ્રેમ ચડિયાતો છે તે અહીં ઘૂંટાયું. સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં. Ph.D. કર્યું. પ્રવીણભાઈ ડૉ. પ્રવીણભાઈ શાહ બન્યાં. પણ પોતે ડોક્ટર છે તેવું ક્યારેય બતાવે જ નહિ.

એક સમયે સર્વશ્રી મનુભાઈ પંચોલી(દર્શક)એ બાપુને સણોસરા GBTCનું પ્રિન્સીપાલપદ સ્વીકારવા કહેલું. પણ તેમાં તો વહીવટ કરવાનો આવે. તેમાં સમય આપવો પડે. તે આ શિક્ષણનો જીવ ક્યાંથી સ્વીકારે!

મને અમરેલી શિક્ષણાધિકારી કચેરીમાં વિજ્ઞાન નિરીક્ષક તરીકે સેવા કરવાની તક મળેલી. આ થકી એક વખત બાબાપુર અધ્યાપન મંદિરનાં વાર્ષિક પાઠ જોવા જવાનું થયું. શિયાળાની ઠંડી. ખૂબ સુંદર પ્રાથમિક શાળા. પાઠ શરૂ થવાને થોડીવાર હતી. સહુ શાળાનાં પ્રાંગણમાં સૂરજદાદાનો મીઠો તડકો ખાતા બેઠા હતાં. અમે બાહ્ય નિરીક્ષકો એક બાજુ બેઠેલા. મેં સમય પસાર કરવાં ‘કુમાર’ મેગેઝીનમાં આવેલાં એક ગણિતના કોયડાની વાત મૂકી. સહુ તે ઉકેલવામાં લાગ્યાં. આ સાંભળી બાપુ પણ આવ્યાં. તેઓએ કોયડો તો ઉકેલ્યો પણ સાથોસાથ નવા કોયડા પણ મૂક્યાં. આ બેઠકે મને બાપુની નજદીક લાવીને મૂકી દીધો.

બાપુની બુદ્ધિશક્તિ, અકલ્પ્ય જ્ઞાન, સમજ અને કૌશલ્યોને હું ભરપેટે પામ્યો છું. જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે બાબાપુર પહોંચી જાઉં. બાપુનાં અકલ્પ્ય સહયોગ થકી હું M.Ed. અને Ph.D.માં વિશેષ કરી શક્યો. એટલું જ નહિ GPSCમાં શિક્ષણાધિકારી કેડરની વર્ગ એકની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યો. તેમાં પણ બાપુનો સિંહફાળો રહ્યો. આ પરીક્ષા માટે બાપુના માર્ગદર્શનમાં રહીને દિવસરાત જે મહેનત કરેલી તે આજે પણ યાદ આવે છે. આ રીતે ડો. પ્રવીણભાઈ મારા માટે ‘બાપુ’ તો ખરા જ. ઉપરાંત મારા હૃદયમાં મારા ‘ગુરૂ’ તરીકે પણ સ્થાન પામ્યાં.

બાપુ શૈક્ષણિક સંશોધનમાં પણ અગ્રીમ હરોળના સંશોધક. વિશ્વની અનેક જાણીતી કસોટીઓ બાપુ પાસેથી મળે!! મેં જયારે તેઓ પાસે અમેરિકાની વિખ્યાત કસોટી DAT જોઈ ત્યારે નાચી ઉઠેલો. બાપુનાં આ જ્ઞાનનો લાભ GCERT અને જિલ્લા શિક્ષણ ભવનને પણ ખૂબ મળેલો.  
ભાવનગરની જાણીતી સંસ્થા વિજ્ઞાન નગરીને પણ વિદ્યાર્થીઓની વિશિષ્ટ શક્તિના માપનમાં અને કાઉન્સેલીંગમાં બાપુના અગાધ જ્ઞાનનો લાભ સાંપડેલો. વિજ્ઞાન નગરી એક શૈક્ષણિક ચેનલ ચલાવે. તેમાં બાપુની વાર્તાઓ પણ આવતી. આજે પણ આ કીધેલી વાર્તાઓનો ખજાનો વિજ્ઞાન નગરી પાસે મોજુદ છે. આમ બાપુ ફૂરસદના સમયે શિક્ષણ ઉપરાંત સંશોધન અને  કાઉન્સેલીંગનું કાર્ય પણ કરે.  

બાપુ સહુનાં કલ્યાણમાં દિવસ રાત રચ્યાપચ્યા રહે. શાળાઓમાં વેકેશનમાં હોય કે રજાઓ હોય. બાપુ આ સમયગાળાનો ખૂબીપૂર્વક સદ્દપયોગ કરે. શિક્ષકો માટે આગવી તાલીમનું આયોજન કરે. આયોજન જ એવું કે આસપાસનાં ગામોના શિક્ષકમિત્રો તેમાં હરખભેર જોડાય. ભાડાભથ્થા... તો કહે રામ રામ! સહુ ઘરેથી લાવેલું ટીફીન સાથે બેસીને જમે અને ભણે. આમ બાપુની પ્રેમની અને જ્ઞાનની અનોખી પાઠશાળા ચાલે.

બાબાપુરની પાસે ચારેક કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કાંઠે તરવડા નામે એક ગામ. આ  ગામને સામે કાંઠે રહેઠાણની એક અવાવરું જગ્યા. આ જગ્યાએ રહીને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સ્વ. રતુભાઈ અદાણીએ અને અનેક સ્વાતંત્રવીરોએ સ્વતંત્રતાની ચળવળ કરેલી. આ જગ્યાએ પ્રવીણબાપુએ અસહાય બાળકોને રાખીને તેનું અનોખું શિક્ષણકાર્ય સંભાળેલું.

બાપુને સાયકલ ચલાવતા મેં કદી જોયા નથી. કદાચ આવડતી જ નહિ હોય. આથી બાપુ રોજ સવાર સાંજ તરવડા ચાલીને જાય અને આવે. બાળકોને ભણાવે તેની સંભાળ રાખે. રસ્તામાં આવતાજતા કોઈ ખેડૂત કે ખેતમજુર મળે તે બાપુને મળી હરખઘેલા થાય. આવું પ્રેમાળ  બાપુનું વ્યક્તિત્વ.

અધ્યાપનકાર્યમાંથી સમય કાઢી ખાદીધારી બાપુ ખભે થેલી નાંખી આજુબાજુના ગામોની નિશાળમાં ચાલીને નીકળી પડે. નિશાળે નિશાળે જઈ બાળકો અને શિક્ષકોની પાસે જ્ઞાનનો ધોધ વહાવે. બાપુ એટલે ગોળનું ગાડું. સહુ બાપુને એટલા પ્રેમથી વધાવે કે તેનું શબ્દોમાં વર્ણન કરવું મારાં માટે શક્ય નથી.

બાબાપુરમાં બાપુ પાસે એક દિકરી ભણી ગયેલી. જંગલ વિસ્તારમાં શિક્ષિકાની નોકરી કરે. ઘોડે બેસી ખભે બંદુક રાખી આસપાસનાં વિસ્તારનાં માથાભારે માણસોનાં છક્કા છોડાવે. આ દિકરી બાપુના શબ્દને ક્યારેય ઉથાપે નહિ. બાપુની આ પણ એક આગવી ઓળખ.

બાપુને ત્રણ દિકરી અને એક દિકરો. મોરના ઈંડા કાંઇ ચીતરવા થોડાં પડે તે કહેવતને સાર્થક કરે તેવાં ઉજળા ઉજળા સંતાનો. તે પૈકીની એક દિકરી કૃતિકાબહેન, ભાવનગરનાં મૂંઠી ઉંચેરા માનવતાવાદી બાળરોગ નિષ્ણાત ડો. આઈ.કે. વીજળીવાળાને પરણ્યા છે. આ સબંધને પણ ખુલ્લા દિલથી સ્વીકારનારા માનવી તે બાપુ.

પત્ની વિમુબહેને બાબાપુરની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા બજાવી પોતાનું આગવું સ્થાન બનાવેલું. વિમુબહેન પણ બાપુની જેવાં જ નખશીખ શિક્ષિકા, સરળ, સાદા અને ઉચ્ચ વિચાર ધારક. ખૂબ જાણીતા લેખક અને ભાષાંતરકાર શ્રી મોહનભાઈ દાંડીકરનાં તેઓ બહેન. બાપુને મળવા તો ક્યાંય ક્યાંયથી કેટલાયે કોઈ પણ સમયે આવતાં રહેતા જ હોય. પણ સહુ કોઈને વડીલ બહેન વિમુબેન અને સંતાનોનો મીઠો આવકારો મળે મળે અને મળે જ.

હું અમરેલીમાં શિક્ષણાધિકારી હતો. તે સમયગાળામાં એક વખત સાવરકુંડલા ગયેલો. મને જાણ થઇ કે આજે અહીં પ્રવીણબાપુનો વાર્તાનો જાહેર કાર્યક્રમ છે. આ સાંભળી હું પણ વાર્તા માણવા પહોંચી ગયો. સમગ્ર હોલમાં ક્યાંયે જગ્યા ના મળે. વાર્તાનાં મહત્વને પ્રથમ વાર સમજ્યો. વાર્તાની દુનિયામાં આ મારો પ્રથમ પ્રવેશ.

સમય બળવાન છે. બાપુએ બાબાપુર છોડી ભાવનગરને કર્મભૂમિ બનાવી. ભગવાને ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણનું અને તેમાં ભણતાં બાળકોનું કલ્યાણ ઈચ્છ્યું હશે. ભાવનગરમાં રહીને કે પછી જરૂર પડે રાજ્યના છેવાડાનાં ગામોમાં યોજાયેલાં સેમિનારો અને વર્કશોપમાં આવીને બાપુએ ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણનાં બદલાવમાં પોતાનાં અનુભવનો અનન્ય અર્ક પીરસી દીધો.

ગુજરાતમાં GCERT દ્વારા અભ્યાસક્રમ બદલાવ, નવો પાઠ્યક્રમ અને બાળભોગ્ય પાઠ્યપુસ્તક રચનાની જે કોઈ ક્રાંતિ થઇ તે સમગ્ર ક્રાંતિમાં આ વિદ્યાગુરુની અદ્દભુત ભૂમિકા રહી. તેઓના અદ્દભુત જ્ઞાન અને પ્રેમને ગુજરાતનાં રિસોર્સ ગ્રુપે ભરપેટે પીધો. ગુજરાતની તાકાતને સમગ્ર દેશ ઓળખતો થયો તેમાં બાપુની અનન્ય ભૂમિકા રહી, તે કેમ વિસરાય?

એક સમય હતો જયારે ગુજરાત પાસે ટીવીનાં માધ્યમથી શિક્ષણ આપવાનો ‘બાયસેગ’ નામે જાણીતો આજનો સ્ટુડિયો ન હતો. તે સમયે GCERTને અમદાવાદ સ્થિત ISROનાં સ્ટુડીયોનો  સહયોગ સાંપડેલો. અમે અહીંથી ‘રોજ નિશાળે જઈએ’ નામે એક ભાર વિનાનાં ભણતરનો વિશિષ્ટ કાર્યક્રમ પ્રસ્તુત કરેલો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રિય કેળવણીકાર ડૉ.રવીન્દ્રભાઈ દવેસાહેબની ઉપસ્થિતિમાં પ્રવીણબાપુએ વાર્તાનું શાસ્ત્ર અને એક સુંદર બાળવાર્તા કહેલી. આ વાર્તા, વાર્તાલાપથી અને બાપુના જ્ઞાનથી દવેસાહેબ ખૂબ પ્રભાવિત થયેલાં.

એક સમયે પાલીતાણામાં ગુજરાતનાં હજારથી પણ વધુ રિસોર્સ પર્શનનો ચારેક દિવસનો એક વર્કશોપ. રાત્રીની વિશિષ્ટ બેઠકમાં તે સમયના શિક્ષણમંત્રી અને આજનાં મુખ્યમંત્રી શ્રી આનંદીબેનની ઉપસ્થિતિમાં બાપુએ દિલના રંગની અને શૈક્ષણિક મૂલ્યોથી ભરેલી ભરેલી જે વાર્તા કહેલી. તે કેમ વિસરાય?

આવો જ એક વર્કશોપ ફરી પાલીતાણામાં યોજાયેલો. તે સમયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ સમિતિના અધ્યક્ષ અને ISROનાં એક વખતના ચેરમેન સર્વશ્રી પ્રો. યશપાલ શર્માની ઉપસ્થિતિમાં ફરી એક વખત વાર્તા ચાલી. યશપાલજી આફરીન પોકારી ઉઠેલા.

બાપુ કેન્સરમાં સપડાયાં, તે પહેલાનો સમય. આજથી સાતેક વર્ષ પહેલાં તે વખતના મુખ્ય મંત્રી અને આજનાં વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબનાં શિક્ષણ સલાહકાર સ્વ. ડૉ. કિરીટભાઈ જોષીસાહેબ પણ બાપુને મળવા ખૂબ આતુર હતાં. એ મિલન ગાંધીનગરમાં થયું. ત્યારબાદની આ બન્ને વિદ્યાગુરુ વચ્ચે જામેલી દોસ્તીનો હું સાક્ષી છું.

ચિલ્ડ્રન યુનિવર્સિટી રચાઈ. યુનિવર્સિટીએ બાળવાર્તા ઉપર કામ શરૂ કર્યું. પ્રથમ બેઠક  ભાવનગરમાં અને બીજી બેઠક ભાવનગર જિલ્લાનાં પાલીતાણામાં થઇ. કારણ માત્રને માત્ર બાપુ!

છ સાત વર્ષ પહેલાં ‘મૂછાળી મા’ ગિજુભાઈ બધેકા સ્થાપિત નૂતન બાલ શિક્ષણનાં રાજ્ય અધિવેશનમાં ગુજરાતભરમાંથી આવેલાં મિત્રોને બાપુએ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘તોતાકી કહાની’ કહીને આજનાં શિક્ષણનાં છોતરા કાઢી નાખેલા. આજે પણ આ વાર્તાને સાંભળનારા ઘણાં મળે છે અને બાપુને યાદ કરે છે. આ વાર્તાની વિડીયો કેસેટની જબરી માંગ રહી. ‘તોતાકી કહાની’ નૂતન બાલ શિક્ષણ સંઘ દ્વારા પ્રકાશિત પુસ્તિકા ‘માતૃભાષા સંવર્ધન : ભાવનગર ઘોષણાપત્ર’ માં પણ મૂકી, તેની પણ જબરી માંગ છે.  

હાલમાં સુરતમાંથી નવતર અને અત્યંત જરૂરી એવું એક નવતર અભિયાન ‘Parenting For Peace’ નામે છેડાયું છે. આ અભિયાનને એક બાહોશ પોલીસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલનું નેતૃત્વ અને બાહોશ ટીમનું નેતૃત્વ સાંપડ્યું છે. આ શૈક્ષણિક આંદોલનમાં સહુએ જોડાવા જેવું છે. તેનાં બીજ ‘દર્શક’નાં પ્રવચનોવાળી એક પુસ્તિકા ‘વિશ્વ શાંતિની ગુરૂકિલ્લી’થી રોપાયેલાં છે. આ પુસ્તિકાનું સંપાદન પણ શ્રી મોહનભાઈ દાંડીકરની સાથે રહીને પ્રવીણબાપુએ કરેલું છે.

પૂજ્ય પ્રવીણબાપુએ શિક્ષણની ધૂણી ધખાવીને એક દીપકમાંથી અનેક દીપક પ્રગટાવ્યા છે. તેમના ગુરૂ સ્વ. ડૉ. બી.યુ.પારેખસાહેબ, વડીલશ્રી ડૉ. વસંતભાઈ દોશી તથા શ્રી જયંતભાઈ શુક્લનાં નામને ઉજાળ્યું છે. બાપુનો કર્મયોગ હરહંમેશ યાદ રહેશે.

બાપુનું ખોળિયું ભલેને ભરૂચમાં નર્મદામૈયાના ખોળે વિલીન થયું. પણ બાપુના નિષ્કામ કર્મો આપણી વચ્ચે જ છે અને રહેશે.    


- નલિન પંડિત
પ્રમુખ, ગુજરાત રાજ્ય નૂતન બાલ શિક્ષણ સંઘ
પૂર્વ શિક્ષણ નિયામક, જીસીઈઆરટી-ગાંધીનગર
94289 96622 |  |nalin.pandit@gmail.com

શિક્ષણમાં આપણું પછાતપણું અને ફિનલેન્ડ




(If you cannot read Gujarati fonts, please click here for PDF version)


મિત્રો,
નમસ્કાર.

આજે આપ સહુને આપનાં બાળકો જે શિક્ષણ મેળવી રહ્યાં છે તે કેવું છે તેની કેટલીક વેદનાસભર વાતો કરવી છે. તે માટે વિશ્વના શિક્ષણથી આપણી શાળાઓનાં શિક્ષણ સુધીની સફર કરીશું.

વિશ્વમાં દેશોમાં ભારત દેશનું સ્થાન ક્યાં?
વિશ્વની શ્રેષ્ઠ ૨૦૦ યુનિવર્સીટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી.
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

આપણાં દેશનું શિક્ષણ કેવું?
દેશનું શિક્ષણ ખાડે ગયું છે.
આ NCERT / MHRDનાં ડોક્યુમેન્ટમાં સ્વીકારાયું છે!
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

તો પછી ગુજરાતનું શિક્ષણ કેવું?
ગુજરાતનું શિક્ષણ એટલે ગોખણીયું શિક્ષણ.
વાંચો, લખો, ગોખો અને પરીક્ષામાં ઓકોનું શિક્ષણ.
સેંકડો વિદ્યાર્થીઓ આપઘાત કરે છે.
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

જે દેશ પાસે વલ્લભી, નાલંદા અને તક્ષશિલા જેવી ત્રણ ત્રણ વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠો હતી, તે દેશ આજે શિક્ષણમાં પછાત કેમ રહી જવા પામ્યો છે?

જે ગુજરાત પાસે વલ્લભી વિદ્યાપીઠ ઉપરાંત દક્ષિણામૂર્તિ જેવી દાદુ સંસ્થા હતી, આંબલા અને  લોકભારતી જેવી દાદુ સંસ્થાઓ  છે, તે ગુજરાત આજે શિક્ષણમાં પછાત કેમ રહી જવા પામ્યું છે?


કારણ, બુશર્ટનું પહેલું બટન જ ખોટું બિડાયું છે.

ગુજરાતમાં બાલમંદિરનાં બાળકોને અસમજદારોએ દફતરઘારી બનાવી દીધા છે. દફતર આવ્યું એટલે ભણવાનું આવ્યું. ભણવાનું આવ્યું એટલે હોમવર્ક આવ્યું. આ બધું આવ્યું એટલે પરીક્ષા નામનો છળકપટી રાક્ષસ પણ આવ્યો. આ બધાં થકી નાનકડો બાળક તો જીવતો જ મુવો છે! આમ, બુશર્ટનું પહેલું બટન જ ખોટું બિડાયું છે. આ આપણને સમજાતું નથી.

ગુજરાતમાં યુનિવર્સિટીઓનું શિક્ષણ પણ ગુજરાતીભાષામાં જ મળે તે માટે ગુજરાત યુનિવર્સીટીની સ્થાપના થઇ હતી. તે ગુજરાતમાં આજે અત્ર તત્ર સર્વત્ર અંગ્રેજી માધ્યમ કેન્સરની જેમ પ્રસર્યું છે. અંગ્રેજી માધ્યમ પણ છળકપટી મોટો રાક્ષસ છે. તેણે તો અદ્દ્ર્શ્ય રહી સંસ્કાર અને સંસ્કૃતિ પર ઘા મારવાનું ચાલુ કર્યું છે. ભારત દેશને અન્ય રીતે ફરી ગુલામ બનાવવાનું શરૂ કર્યું છે. આ આપણને સમજાતું નથી.

શિક્ષણ તો મિત્રાચારીવર્ધક હોય. તેના બદલે મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં હરીફાઈ અને પરીક્ષાએ ઘોર ખોદી છે. હરીફાઈ અને પરીક્ષા મિત્રાચારીના બદલે દ્વેષ અને દુશ્મનીના બીજ રોપવાનું કામ કરી રહ્યું છે. હરીફાઈ અને પરીક્ષાએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને ખતમ કરી નાખી છે. આ આપણને સમજાતું નથી.

શિક્ષણ તો જીવનકૌશલ્ય માટેનું હોય. તેના બદલે આજનાં શાળા, કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણને જીવનકૌશલ્ય શિક્ષણ સાથે સ્નાનસુતકનોય નાતો નથી. આ શિક્ષણે યુવાનોને પાંગળા અને પરાવલંબી બનાવી દીધા છે. યુવા અવસ્થાને બેહાલ કરી નાંખી છે. આ આજનું શિક્ષણ છે. આ આપણને સમજાતું નથી.

આ બધું થવા પાછળનાં અનેક અનેક કારણો છે. આ કારણો અને શિક્ષણનાં સાચા માર્ગને કોઈ IAS અધિકારીઓ પકડી ના જ શકે. (હા, એકાદ બે અપવાદરૂપ IAS અધિકારીઓ જરૂરથી જોયા છે, તેઓને સલામ) શિક્ષણમાં IAS અધિકારીઓને કોણે મૂક્યાં? આ આપણને સમજાતું નથી.

સાચા કારણો જાણવા માટે અને સાચો માર્ગ પામવા માટે સાચુકલાં શિક્ષણશાસ્ત્રીઓને પૂછવું પડશે. વિશ્વના ઉત્તમ શિક્ષણને જાણવું પડશે. આ આપણને સમજાતું નથી.

અન્યથા આ માર્ગ ટચુકડો એવો ફિનલેન્ડ નામનો દેશ પણ બતાવી શકે તેમ છે. સમગ્ર વિશ્વમાં શિક્ષણમાં નંબર વન દેશ ફિનલેન્ડ છે.

અમેરિકા ગયો ત્યારે ત્યાં વેકેશન ચાલતું હતું. તેથી ત્યાનાં શિક્ષણને પ્રત્યક્ષ તો જોવા ન મળ્યું. પરંતુ ત્યાં બેઠા બેઠા અમેરિકા ઉપરાંત વિકસિત દેશમાં કેવું શિક્ષણ ચાલે છે તેની મહત્વની માહિતી જરૂરથી પ્રાપ્ત કરી શક્યો. તેમાં ફિનલેન્ડનું શિક્ષણ મનને સ્પર્શી ગયું. (થોડા સમય પહેલાં ‘વિચાર વલોણા’ નામનાં સામયીકમાં પણ ફિનલેન્ડ દેશનાં શિક્ષણ વિશે વાંચી ખરેખર નાચી ઉઠેલો. ‘વિચાર વલોણા’ને સલામ.)
ફિનલેન્ડમાં શિક્ષણ સંપૂર્ણ સ્વાયત છે, અને છતાં, શિક્ષણની તમામ નાણાકિય જવાબદારી સરકાર અદા કરે છે! અહીં શિક્ષણ પરીક્ષાથી મુક્ત છે! છેને અદ્દભૂત! તો ચાલો જાણીએ આ ફિનલેન્ડ દેશના શિક્ષણ વિશે...  

: ફિનલેન્ડનું શિક્ષણ :
  • લોકશાહી દેશનું શિક્ષણ
  • દેશની સંસ્કૃતિને પોષતું શિક્ષણ    
  • સ્વાયત શિક્ષણ
  • 100 % સાક્ષરતા
  • બધી સંસ્થાઓને 100 % ગ્રાન્ટ
  • બાલમંદિર માટે એક વર્ષ
  • સાત વર્ષ પૂર્ણ થયે શાળા પ્રવેશ
  • શ્રેષ્ઠ 10 % ગ્રેજ્યુએટમાંથી જ શિક્ષકોની પસંદગી
  • શિક્ષકો માટે એમ. એડ. ફરજીયાત
  • શિક્ષક દર અઠવાડિયે બે કલાક પોતાનાં વ્યાવસાયિક વિકાસ માટે ફાળવે
  • સામાન્ય રીતે 300 વિદ્યાર્થીઓની શાળાઓ
  • અભ્યાસક્રમમાં માત્ર ગાઈડ લાઈન્સ
  • પરીક્ષા નહિ
  • હોમવર્ક નહિ
  • 75  મિનિટનાં પીરીયડ
  • 75  મીનીટની રીશેષ  
  • બાળકો બાળકો વચ્ચે સરખામણી નહિ, સ્પર્ધા નહિ
  • હોંશિયાર અને ઠોઠ બાળકો બધાં એક જ વર્ગમાં
  • પ્રથમ નવ વર્ષ બેઝીક શિક્ષણનો કોર્ષ   
  • 43% વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણમાં શાળામાં જાય
  • વ્યાવસાયિક અભ્યાસમાં પ્લમ્બિંગ અને કન્સ્ટ્રકશન ઉપર વિશેષ ભાર
  • એપ્લાઈડ સાયંસની 27 યુનિવર્સિટીઓ
  • શિક્ષકોનું ડોક્ટર વકીલો જેટલું જ માનપાન  
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે વાહન સુવિધા
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે ભોજન
  • બધાં વિદ્યાર્થીઓની વિનામુલ્યે આરોગ્ય જાળવણી
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક સાધનસામગ્રી
  • પ્રત્યેક વિદ્યાર્થીનું વિનામુલ્યે કાઉન્સેલિંગ

ફિનલેન્ડને જેમ સમજવાની  કોશીષ કરું છું તેમ મને  ફિનલેન્ડના અદ્દભૂત શિક્ષણમાં આપણી આઝાદી કે તેના આસપાસનાં સમયની દક્ષિણામૂર્તિ, ઘરશાળા, આર્યકન્યા ગુરુકુળ, સાંદીપની ગુરુકુળ, સી. એન. વિદ્યાલય, શ્રેયસ, વેડછી, આંબલા કે આ વિચારધારાની અનેક સંસ્થાઓ, શાંતિનિકેતન કે ત્રણે પુરાતન વિશ્વ વિદ્યાપીઠનાં દર્શન થાય છે.

ફિનલેન્ડના શિક્ષણમાં મને મહાત્મા ગાંધીજી, સર્વશ્રી જે. કૃષ્ણમૂર્તિજી, ગુરૂવર્ય ટાગોરજી, મહર્ષિ અરવિંદજી, પૂજ્ય વિનોબાજીથી માંડી માન. યશપાલજી કે પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનજી કે અબ્દુલ કલામ સાહેબનાં શિક્ષણ વિચારોનું ક્યાંક ને ક્યાંક દર્શન થાય છે.

આ બધું આપણું જ હતું. આપણી પાસે જ હતું.  છતાં કેમ ગુમાવ્યું? આ આપણને સમજાતું નથી.

જુઓ તો ખરાં! આપણી ચિલ્ડ્રન યુનિવર્સિટી અને શિક્ષક યુનિવર્સિટીને પણ સ્વાયત નથી. તો પછી આપણી શાળાઓને સ્વાયતત્તા મળે તેવાં સપના તો ક્યાંથી સેવવા? સ્વાયતત્તા વિનાનું શિક્ષણ, બંધિયાર પાણીની માફક ગંધાય જ ઉઠે. આ આપણને સમજાતું નથી.

એક બાજુ શિક્ષકના ત્રાસથી આપઘાત કરનાર બાળકનાં સમાચાર માત્રથી હચમચી જતો ગુજરાતનો સંવેદનશીલ સમાજ છે. તો બીજી બાજુ શિક્ષણની નીતિને કારણે આપઘાત કરતાં સેંકડો બાળકો માટે લાચારી અનુભવતો પણ આ જ સમાજ છે.

આપણા રાજ્યમાં શિક્ષણ વિશે અલ્પ અને એકાંગી સમજણ ધરવતાં નીતીધારકો છે. જેને શિક્ષણનાં કે શૌચાલયનાં 'શ' ની પણ ખબર નથી તેનો શિક્ષણમાં અકલ્પ્ય ચંચૂપાત છે. આ આપણને સમજાતું નથી.

આ માર્ગ ફિનલેન્ડ નામનો ટચુકડો દેશ બતાવી શકે તેમ છે. આ લેખ આપને ગમે તો, આપનાં મિત્રોની વચ્ચે વિતરણ કરવા નમ્ર વિનંતી છે.

|| બાલ દેવો ભવ ||


નલિન પંડિત
પૂર્વ નિયામક, GCERT                          
ભાવનગર
94289 96622 | nalin.pandit@gmail.com

30 July 2014

લાઈફટાઇમ એચીવમેંટ એવોર્ડ - સન્માન ભાવ - પ્રતિભાવ વંદના




(If you cannot read Gujarati fonts, please click here for PDF version)



નલિન પંડિત (ભાવનગર)
ગૌરવ ન. પંડિત
જર્સી સીટી, ન્યુ જર્સી
યુ. એસ. એ
તા. 29-07-2014
શ્રાવણ  માસ.


 
લાઈફટાઇમ એચીવમેંટ એવોર્ડ
(11 જુલાઈ, 2014)


સન્માન ભાવ - પ્રતિભાવ વંદના


પરમ પૂજ્ય ભાઈશ્રી.
શ્રી સાન્દીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર.


આપશ્રીને સાદર વંદન કરું છું.
આપશ્રીની સંસ્કૃત અને સંસ્કૃતિનાં સંવર્ધન માટેની તપશ્ચર્યાને વંદન કરું છું.
આપશ્રી જે ભૂમિ પર સાધના કરી રહ્યા છો, તે તપોભૂમિને પણ વંદન કરું છું.


પૂજ્ય ભાઈશ્રી, આપશ્રીએ મને ‘લાઈફટાઇમ એચીવમેંટ એવોર્ડ’થી સ્વીકાર્યો, મારી શિક્ષણ અને કેળવણીની કાચીપાકી સમજણ મુજબના કર્મની ભાવવંદના કરી આશીર્વાદ આપ્યા, તે માટે હું અને મારો સમગ્ર પરિવાર આપશ્રીને વંદન કરીએ છીએ. અમે સદાય આપશ્રીના ઋણી રહીશું.


સાચું કહું તો હું એક અતિસામાન્ય વિદ્યાર્થી હતો. રમતગમતમાં મસ્ત રહેતો. નિમ્નમધ્યમ વર્ગમાં ઉછર્યો. માતાપિતા, ભાઈબહેનો અને દાદાજીનો અસીમ પ્રેમ પામ્યો. ઋષિકુળસમા કુટુંબના સંસ્કારને પામ્યો. સદ્દનસીબે એક શિક્ષક બન્યો. શિક્ષણ કેડરમાં વર્ગ એકના અધિકારી તરીકે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો. બિન તાલીમી શિક્ષકમાંથી ધીમે ધીમે શિક્ષણ નિયામક સુધીની યાત્રા સદ્દનસીબ થઇ.


મારા માટે શિક્ષણ એક યજ્ઞ છે, એક યાત્રા છે. આ યાત્રાએ મને લાખો પ્યારા વિદ્યાર્થીઓ અને જેનું મારા ઉપર ઋણ છે તે સમાજની સેવા કરવાની ઉમદા તક આપી. આ યાત્રા થકી જ હું અનેક શ્રેષ્ઠ શિક્ષકો, પ્રાધ્યાપકો, શિક્ષણશાસ્ત્રીઓ, મોભીઓ અને સંસ્થાઓના સંપર્કમાં આવી શક્યો. આ સહવાસે મને ખૂબ ઘડ્યો. આ સર્વેનું હું ઋણ સ્વીકારું છું.


પૂજ્ય ભાઈશ્રી, આમ તો હું આ સન્માન સ્વીકારવાનો ન હતો!!! ખૂબ સંકોચ અનુભવ્યો છે. મન સતત એવું કહેતું હતું કે શું હું આ ભાવવંદનાને લાયક છું ખરો? પરંતુ આ સન્માન થકી મને આપશ્રીના જે આશીર્વાદ મળવાના હતા તે લોભને હું રોકી ન શક્યો. આજની આ પળે જ મને આપશ્રીના આશીર્વાદની તાતી જરૂરત હતી. આપશ્રીએ તે સહૃદયપૂર્વક આપ્યા. મારું જીવન ધન્ય બની ગયું.


આપશ્રીના આશીર્વાદ થકી મારી અંદરની ધખધખતી વેદનાને સાંતત્વ મળશે. આ વેદના થકી જ મેં અને મિત્રોએ શરુ કરેલી એક બહુ આયામી ચળવળને બહુ મોટું બળ મળશે.


મારો સંઘર્ષ અને મારી ચળવળ...
ભાર વિનાના ભણતર માટેની છે.
હૃદયની કેળવણી માટેની છે.
ભ્રષ્ટાચાર સામેની છે.


જુઓને, આજના મોટાભાગના બાલમંદિરોમાં ભણતરનો કેટલો બેસુમાર ભાર ઘૂસી ગયો છે?
નાની ઉમરે દાખલ કરવા, લખાવવું, હોમવર્ક, બીજી ભાષા... આ ભાર તો ભુલકાઓના બાળપણને મારી રહ્યું છે.
શિક્ષણનાં ખમીસનું પહેલું બટન જ ખોટું બંધ થઇ રહ્યું છે.


આજના શિક્ષણમાં બીજો ભાર માતૃભાષાના દ્રોહનો છે. મિડીયમ ઈંગ્લીશનો છે.
મહાત્મા ગાંધીજીએ તો ઢોલ પીટી પીટીને કહ્યું કે માતૃભાષાનો દ્રોહ એ દેશદ્રોહ છે. 140 દેશના શિક્ષણ સલાહકાર અને એક વખતનાં યુનેસ્કોના શિક્ષણ નિયામક આદરણીય ડૉ. રવીન્દ્રભાઈ દવેસાહેબ કહે છે કે માતૃભાષાનો દ્રોહ એ પાપ છે. મહાન વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામ સાહેબ અને ગરવા ગુજરાતી વૈજ્ઞાનિક ડૉ. પંકજભાઈ જોશી કહે છે કે માતૃભાષા વિના વિજ્ઞાન સમજી જ કેવી રીતે શકાય? યુનેસ્કો તો વિશ્વમાં સહુકોઈને પોતપોતાની માતૃભાષા બચાવવા અપીલ કરી રહ્યું છે. યુનેસ્કો સહુકોઈને પોતપોતાની માતૃભાષાની ઉજવણી કરવા પ્રેરી રહ્યું છે. યુનેસ્કોએ તો જાહેર કરી દીધું છે કે ગુજરાતી ભાષા ભૂંસાઈ રહી છે!!! આ કેટલું દુઃખદ છે?


આજના શિક્ષણમાં અસહ્ય ભાર દફતરનો છે. હોમવર્કનો છે. ટ્યુશનનો અને ટાઈ-કોટનો છે. ગોખણીયા શિક્ષણનો છે. ગરબડીયા અને થોથા જેવડા પુસ્તકોનો અને તેના લેખકોનો છે. તેના નીતિધારકોનો છે. માબાપની ગેરસમજણનો છે. શિક્ષણના તંત્રની અને કેટલાયે શાળા સંચાલકોની તો વાત જ શું કરવી?


આ બધાએ હૃદયની કેળવણીને તો કારાવાસ દઈ દીધો છે, ગળે ટુંપો દઈ દીધો છે. તેઓને તો બસ પરીક્ષા પરીક્ષા અને પરીક્ષા... સ્પર્ધા, સ્પર્ધા અને સ્પર્ધા...આ સિવાય શિક્ષણમાં કઈ સમજાતું જ નથી, કઈ દેખાતું જ નથી. એક સાંધીએ ત્યાં તેર તૂટે તેવી દર્દનાક સ્થિતિ છે, શું કરવું?


આજનું શિક્ષણ એટલે બસ વાંચો.. લખો… ગોખો…. અને ઓકો….!!! જે પરીક્ષામાં વધારે ઓકે તે વધુ હોશિયાર, પછી ભલે ને તે કેટલીયે બાબતોમાં ઢગલાનો ઢ હોય!! ગોખવા સિવાય કશું જ બચવા પામ્યું નથી. આ શિક્ષણે વિદ્યાર્થીઓને આપઘાત કરવા મજબૂર બનાવ્યાં છે. આજનાં આ શિક્ષણે વિદ્યાર્થીઓની સર્જનશક્તિને ખતમ કરી નાખી છે.


વિશ્વની શ્રેષ્ઠ 200 યુનીવર્સીટીમાં ભારતદેશની એક પણ યુનીવર્સીટી નથી! આ સાંભળી માથું શરમથી ઝુકી જાય છે. બાલમંદિરમાં બાળપણ મરી રહ્યું છે! મધ્યમાં વિદ્યાર્થીઓને આપઘાત કરવા મજબુર બન્યા છે!! તો યુનીવર્સીટીઓમાં તો યુવાનીનો વ્યય જ થઇ રહ્યો છે!!! આપણી આવતીકાલ ખતરનાક છે.
આ શિક્ષણ એક તણાવયુક્ત સમાજને જન્માવી રહ્યું છે. તામસી ગુણોને બહેકાવી રહ્યું છે. યુદ્ધખોરીને જન્મ આપી રહ્યું છે. ભવિષ્યમાં સમાજ ઘડવૈયાઓએ શૈક્ષણિક સંકુલોના બદલે વિશાળ પાયામાં વૃદ્ધાશ્રમો ખોલવા પડશે. ફરી એક વખત કહીશ કે આપણી આવતીકાલ ખતરનાક છે.


આજનું આ શિક્ષણ તો ‘મેકોલેબ્રાંડ શિક્ષણ’ને પણ સારું કહેવરાવશે. આટલા માટે જ અમે કેટલાક મિત્રોએ ‘મેકોલેબ્રાંડ શિક્ષણ’ કરીને એક લેખમાળા શરુ કરી છે, જે ઘણાને નથી ગમતું. પણ સત્યને ક્યાં સુધી છુપાવી શકશો?


શું આ સમસ્યાનો કોઈ ઉપાય છે ખરો? હા, છે. જરૂરથી છે. આજે પણ એવી કેટલીક સંસ્થાઓ બચી જવા પામી છે, જેની પાસે આ સમસ્યાનો નક્કર ઉપાય છે. સરકારની મીઠી નજર નથી. છતાં તેઓ આ દિશામાં નક્કર કામ કરવા મથી રહ્યા છે, સતત ઝઝૂમી રહ્યા છે. તે પૈકીની મહતમ સંસ્થાઓ બુનિયાદી શિક્ષણની છે. પણ આ સમજે છે કોણ?  


બુનિયાદી શિક્ષણ એટલે શું તેની સમજ તો શિક્ષકને ભણવામાં ક્યાં આપવામાં આવી હતી? પૂજ્ય ગાંધીજી, પદ્મશ્રી નાનાભાઈ ભટ્ટ, સ્વ. શ્રી મનુભાઈ પંચોલી - આ સર્વેના કાર્યોની વાત પણ ક્યાં હતી? કે પછી લોકભારતી સણોસરા, આંબલા, મણાર કે તેના જેવી સંસ્થાઓની  કોઈ વાત પણ એમ. એડ. સુધીના ભણતરમાં ક્યાં હતી? તે વિના સાચો શિક્ષક ઘડાય ક્યાંથી? તે વિના સાચું શિક્ષણ આવે ક્યાંથી?


‘મૂછાળી મા’નું બિરુદ પામેલા ગીજુભાઈ બધેકા, તેમના સાથી પદ્મભુષણ સ્વ. તારાબેન મોડક અને ‘વેડછીના વડલો’નું બિરુદ પામેલા જુગતરામભાઈ દવેની બાબતે પણ આવું જ થયું છે. તેઓને સમજીએ નહિ ત્યાં સુધી બાલ શિક્ષણ કે બાલ મનોવિજ્ઞાન સમજાય જ કેવી રીતે?


મારા સદનસીબે ભાવનગરમાં મારા સેવાકાળ થકી હું આ બધું નજદીકથી જોઈ શક્યો. કઈક પામી શક્યો. મૂછાળી માની દિશા પકડી તો GCERT એક દિશા પામી શકી. તો ગુજરાત પ્રો. યશપાલજીના આશીર્વાદ પામી શક્યું. તો ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ હરોળનું સ્થાન પામી શક્યું. ચિલ્ડ્રન યુનીવર્સીટી સ્થાપવાનો અને ચિલ્ડ્રન એન્સાયક્લોપીડિયા રચવાનો વિચાર જ સહુ પ્રથમ ‘મૂછાળી મા’ ને આવ્યો હતો! તેમણે તો એ દીવસોમાં આ અંગેનું કામ શરુ પણ કરી દીધેલું. પણ…. ભૂલાયેલો આ વિચાર GCERTએ રમતો મુક્યો હતો. ‘મૂછાળી મા’ ગીજુભાઈ બધેકાનું આટલું ઋણ તો આપણે સ્વીકારવું જ પડશે. ક્યારે સ્વીકારીશું?


મારા સદ્દનસીબે હું આ સર્વે મહાન કેળવણીકારોને અને તેઓએ સ્થાપેલી સંસ્થાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પામ્યો છું. તે થકી જ ખુબ ઘડાયો છું. આ બધું સમજીશું તો જ પરિશ્રમના અને પ્રાર્થનાના મહિમાને કે હૃદયની કેળવણીને સમજી શકીશું. તો જ ખતરનાક ભાવીમાંથી બચી શકીશું.


હું તો આજના આ શિક્ષણથી આખે આખો સળગી રહ્યો છું. આવા સમયે મને મળેલા આપશ્રીના આશીર્વાદ અમૃત સમા છે. આપશ્રીના આશીર્વાદ મારી નિસ્વાર્થ ચળવળને જરૂર સફળ બનાવશે. લાખો કરોડો બાળકોને આજના આ નકામા અને ભારથી લથબથ શિક્ષણમાંથી બચાવમાં મદદરૂપ થશે. આવું ધારીને મેં આ સન્માન યાને કે કર્મ-ભાવવંદનાને સ્વીકારવા મન મનાવ્યું છે.


પૂજ્ય ભાઈશ્રી, સદ્દભાગ્યે મને 37 જેટલા વરસ શિક્ષણની સેવા કરવાની તક સાંપડી છે. ખૂબ આનંદ પામ્યો છું. ખૂબ સંતોષ પામ્યો છું. આ સમયગાળામાં મારી સામે અનેક લપસણી તકો પણ આવી. પણ ઋષિકુલ સમા કુટુંબના સંસ્કાર થકી અને આપશ્રી સમા સંતોના આશીર્વાદ થકી હું એક પણ ડાઘ વિના પાર ઉતરી શક્યો છું. આને હું ઈશ્વરનો મોટો પાડ માનું છું.


આ તકે, હું કેટલાક અનુભવો કહેવા માટે મારાં મનને રોકી શકતો નથી. જે પ્રથમ નજરે તેમાં માત્ર મારી આત્મશ્લાઘા જ દેખાશે. પરંતુ મારા ઉપર પરમ કૃપાળુ પરમાત્માની કૃપા સદાયે કેવી કેવી વરસતી રહી છે તેના તેમાં અચૂક દર્શન થશે.


ભાવનગરમાં પ્રૌઢ શિક્ષણ અધિકારી તરીકે 30 જેટલા ગામોને 100% સાક્ષરી બનાવ્યા. યુવાટીમ, સ્વાધ્યાય પરિવાર, સ્વામીનારાયણ સંપ્રદાય, દીર્ઘદ્રષ્ટા જીલ્લા પંચાયત આ સર્વેના સહયોગ થકી એક અશક્ય કામને શક્ય બનાવ્યું. ભાવનગરમાં જીલ્લા શિક્ષણ અધિકારી તરીકે પ્રવેશ સમયના ડોનેશનને નાબુદ કર્યું. જાહેર પરીક્ષાની શુદ્ધિ કરી. એક તબ્બકે તો સરકારી અધિકારી હોવા છતાં જાહેરમાં ઉપવાસ કર્યા. શિક્ષકોની ભરતી અને બદલીમાં થતાં ભ્રષ્ટાચારને નાબુદ કર્યો. આવા તો કેટલાયે સત્કર્મ થયા.


પરંતુ આવા કર્મોને કારણે લીધે મારે ભારે વિરોધનો સામનો કરવા પડ્યો. કુટુંબ અને દીકરાને ખૂબ સહન કરવું પડ્યું. વિરોધ કરવામાં કેટલાયે રંગો કામે લાગ્યા. મારી બદલી તાત્કાલિક પોરબંદર કરી રામબા બી.એડ. કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે મૂક્યો.


પરંતુ બદલી કરનાર કે કરાવનારાઓને ક્યાં ખબર હતી કે આ કોલેજ તો મારી માટે તપોભૂમિ હતી. આ કોલેજમાં તો હું ભણ્યો અને ગણ્યો હતો. અહીં જ હું ભણતરની સાચી દિશા પામ્યો હતો. ભણતરમાં પ્રેમ કેવો ચડિયાતો છે તે ગુરુજીઓ પાસેથી અહી જ શીખ્યો હતો. અહીંથી જ હું માનવતાનાં પારાવાર ગુણો પામ્યો હતો. જેણે મારામાં આમૂલ પરિવર્તન કર્યું.


રાજ્યની આ ઐતિહાસિક કોલેજમાં હું મારા ગુરુજીઓનું ઋણ ચુકવવા જાગૃતપણે કામે લાગી ગયો. અમારી કોલેજ ટીમ ઘણી સક્ષમ હતી, સમજદાર હતી. અમારી ટીમ પ્રાર્થના, રમત, પ્રવાસ, રામ-ચાય અને પરિશ્રમની સાથોસાથ ગાંધીજીના મુલ્યોને પણ પ્રાધાન્ય આપી રહી હતી. સુપરવિઝન વિહીન પરીક્ષાના પ્રયોગો કરી રહ્યા હતા. ત્યાં સરકાર બદલાઈ અને મને તાત્કાલિક ગાંધીનગરની ઓફિસમાં નાયબ નિયામક તરીકે હાજર થવા આદેશ થયો.  


ગાંધીનગરનાં આ સમયગાળામાં વિશ્વબેંક અને નેધરલેન્ડ્સની સહાય થકી એક મજાની યોજના આવી. યોજના ગુજરાતનાં નિમ્ન સાક્ષર ત્રણ જીલ્લાઓમાં પ્રાથમિક શિક્ષણની શિકલને સમુળગી બદલાવવા માટેની  હતી. આ માટે વિશ્વબેન્કે 100 કરોડ રૂપિયા ફાળવેલા. યોજનાનું સુકાન મને સોપવામાં આવ્યું. આવડી મોટી રકમ અને તે વાપરવાના તમામ અધિકાર પણ હોદાની રુએ મને. રાજ્ય સરકારે કોઈ જ ચંચુપાત નહિ કરવાનો તેવી વિશ્વબેંકની શરત હતી!!!
મારા માટે તો આ પ્રભુએ આપેલ અણમોલ સેવાની એક તક બની રહી.  ગુજરાતને નજદીકથી ઓળખવાનનો એક અનેરો અવસર બની રહ્યો. પ્રોજેક્ટ પૂર્ણ થયો. 100 કરોડ રૂપિયાનું ઓડીટ થયું. ઓડીટ દરમિયાન મારી બદલી ગાંધીનગરની શૈક્ષણિક સંસ્થાન GCERT (NCERTનું રાજ્ય સ્વરૂપ) માં થયેલી. બેક માસ ઓડીટ ચાલ્યું હશે. જે પૂરું થતા ઓડીટરગ્રુપ મને ખાસ મળવા આવ્યું. યોજનામાં એક પણ પૈસાનો ગેરવહીવટ નહિ અને એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર પણ નહિ! અને યોજનાનું સવાયું પરિણામ!! ઓડીટર ગ્રુપ માટે આ આશ્ચર્યજનક હતું. આ માટે જ તેઓ ખાસ અભિનંદન આપવા આવ્યા હતા.


GCERT અને જીલ્લા શિક્ષણ ભવનોની અનેરી અને મોટી ટીમ હતી. આ સહુ થકી અનન્ય કામ થયું. દર વર્ષે 1000 જેટલા પ્રાથમિક શિક્ષકો સંશોધન કરવા લાગ્યા. ગુજરાતની બધી જ યુનીવર્સીટીઓ, IIM-A, Unicef, સ્ટેટ રિસોર્સ ગ્રુપ સહીત અનેક રિસોર્સ સાથે મળ્યા. ટીમવર્કની એક નવી જ વિભાવના ખીલી. સહુ સાથે મળી સંશોધન અને અભ્યાસક્રમ નવરચનામાં લાગી પડેલા. વિડીઓ કોન્ફરન્સ, પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ આવા તો અનેક અનેક નવતર પ્રયોગ કર્યા.


GCERTમાં વિકલાંગ બાળકો માટેની પણ એક ખૂબ સુંદર યોજના હતી. આ યોજના સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતી. જેમાં કેટલીક સંસ્થાઓ અણીશુધ્ધ અને કેટલીક સંસ્થાઓ કહેવાતા મોટા માથાઓની. આ કહેવાતા માથાઓ બહારથી તો ખૂબ રૂડારૂપાળા પણ મનથી વિકલાંગ. તેઓ દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે. આ ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે રોક્યો. પરંતુ તેણે મારી જિંદગીને સંઘર્ષમય બનાવી મૂકી.


મને કાયમ માટેની એક સુટેવ હતી. મારી પાસે આવતી કોઈ પણ ફાઈલનો તુરતોતુંરત નિકાલ કરી દઉ. ભ્રષ્ટાચારને  રોકવામાં કેટલેક અંશે આ ટેવ કારગત બનતી. દિવસે બાકી રહી ગયેલી ફાઈલોના નિકાલ માટે ઓફિસમાં મોડે સુધી કામ કરતો રહું. આ સમયે ઓફિસમાં માત્ર હું અને માત્ર એક સેવક જ હોઈએ.


એક દિવસ સાંજના સાતેક વાગે બે મોટા પરંતુ માથાભારે માણસો ઓફિસમાં આવ્યા. બંને રાજકીય બળ ધરાવે. તે પૈકીના એક તો મારામારી માટે પણ બહુ જાણીતા. શરીરે બંને પહાડી અને સશક્ત. બંને રિવોલ્વરધારી. કમરે રાખેલી રિવોલ્વર બતાવતા બતાવતા તેઓ મારી સામે બેસી ગયા. વિકલાંગ બાળકોની  યોજનામાં ચાલતા એક ભ્રષ્ટાચારનાં કેસને બંધ કરવા કહ્યું.


અમારી વચ્ચે ખાસ્સી લાંબી ચર્ચા થઇ. મે બંનેને પૂરી શાંતિથી અને કોઈ પણ જાતની બીક રાખ્યા વિના સાંભળ્યા. તેઓને સમગ્ર કેસ સમજાવ્યો. મારી સત્યનિષ્ઠા બંને પદાધિકારીઓને સ્પર્શી ગઈ. તેઓએ કેસને યથાવત સ્વરૂપે જ સ્વીકારી લીધો. જતી વખતે પોતાના હથોડા છાપ હાથ મારી સાથે મિલાવ્યા. અને મારી સાથે દોસ્તીનો વાયદો કરતાં ગયા!
    
GCERTમાં મારી સામે 207 કરોડ, હા 207 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થયેલો!!! બહુ મોટી રકમનો આક્ષેપ હોવાથી ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે બહુ આકરી અને લાંબી તપાસ કરી. તેઓએ ભાતભાતની વિગતો માંગી. જે માંગ્યું તે બધું જ આપ્યું. ચાર ચાર પેઢી સુધીના હિસાબ પણ આપ્યા. તપાસમાં એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર હાથ ન લાગ્યો.  


આ તપાસ મારા કામમાં જબરો વિક્ષેપ પાડી રહી હતી. મેં ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને એક લેખિત આપ્યું કે આપ મારી સમગ્ર નોકરી દરમિયાનની પણ તપાસ કરી શકો છો. જો તેમાં પણ ક્યાય આપને એક પણ પૈસાનો અને તે પણ પુરાવા વિનાનો ભ્રષ્ટાચાર હાથ લાગે તો મને કહેજો. હું વગર પગારે નોકરી કરીશ અને સરકારનું પેન્શન પણ નહિ લઉ. તમે તપાસને જલ્દી પૂરી કરો. મને કામ કરવા દયો. તપાસમાં કશું જ ના મળ્યું. કેસ ફાઈલ થયો. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ કબૂલ કર્યું કે આવો કેસ અમે જોયો નથી. આ તો માત્ર કોઈની હેરાન કરવાની સાજીશ જ હતી.  


હા, નોકરીના છેલ્લા વર્ષમાં પણ ભ્રષ્ટાચાર બાબતે બહુ મોટો સંઘર્ષ થયો. રાજ્યના એક બહુ મોટા માથા સાથે જબરી માથાકૂટ થઇ. તેણે મારી સામે અકલ્પ્ય અને સદંતર જુઠ્ઠો આક્ષેપ મૂક્યો. સત્ય મારે પક્ષે હતું. પછી મારે કોની બીક. મેં બરાબરની લડત આપી. ચાર ચાર IAS અધિકારીઓ કામે લાગ્યા. મેં દાદ ન જ આપી. મેં મુખ્યમંત્રીસાહેબને સત્યથી વાકેફ કરવાનો નિર્ણય લીધો. તેમના પી.એ.ને આ માટે મને સમય ફાળવવા વિનંતી કરી. પણ અસફળ નીવડ્યો!!


આ સમયગાળામાં પણ GCERT રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતી જ જતી હતી. હજુ તો કેટલાયે કામો થઇ શકે તેમ હતા. પરંતુ હવે મારો સમય શિક્ષણના નવતર કામને બદલે આવા ખોટા સંઘર્ષમાં જ વેડફાવા લાગ્યો હતો. અંતે મેં એક વર્ષ વહેલી નિવૃત્તિ લીધી.


પૂજ્ય ભાઈશ્રી, નિવૃત્તિ પછી હું ખુદ જ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો! આ માટે આજે પણ હું મારી જાતને માફ નથી કરી શકતો. શિક્ષણ અને ભ્રષ્ટાચાર માટે મારી વેદનાનો કોઈ પાર નથી. આ માટે એક યા બીજી રીતે સતત મથી રહ્યો છું. પરંતુ આ મથામણ મારા બેક સારા અને અંગત મિત્રોને ન ગમી! તેઓએ મારી સાથેનું અંતર જ વધારી દીધું. બહુ દુઃખ છે.


નિવૃત્તિ સુધીમાં આઠેક લાખ કિલોમીટરની મુસાફરી કરી. રાતે મુસાફરી અને દિવસે કામ. નિવૃત્તિ સુધીમાં ઘરમાં નાણાકીય કે અન્ય કોઈ જવાબદારી રહી ન હતી. બંને દીકરાઓ અમારી ખુબ ખેવના રાખે. ભરપુર પ્રેમ આપે. હા, જરૂર પડે ત્યારે કીધા વિના મદદ મોકલી આપે. અમને બંનેને જરૂર કરતા વધુ પેન્શન મળે. આ પેન્શનમાંથી જે કઈ વધે તે શિક્ષણજગતમાં વાપરીએ અને નિજાનંદમાં રહીએ છીએ..


નિવૃત્તિ પછી કામ કરતા રહેવાનો નિર્ણય કર્યો. પણ કામ કરવું પણ મુક્ત રહીને કરવું ક્યાય સીધી રીતે જોડાવું નહિ તેવો નિર્ધાર કર્યો. તેથી અદ્દાણીગ્રુપનાં શિક્ષણના કામમાં ના જોડાયો. એક અન્ય રાષ્ટ્રીય સંસ્થામાં પણ ના જોડાયો. રાજ્ય સરકારે ‘નરેગા’ યોજનામાં ‘લોકાયુક્ત’ તરીકે નીમ્યો. તેમાંથી પણ બેક અઠવાડિયામાં રાજીનામું આપી દીધું. NCERT નામની રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાએ પણ એક કોર કમિટીમાં જોડવા માટેનું નિમંત્રણ આપ્યું. તેનો પણ સવિનય અસ્વીકાર કર્યો.  


પરંતુ ચાપરડાના મહંતશ્રી મુક્તાનંદ બાપુને ના ન કહી શક્યો. ભૂતકાળમાં પૂજ્ય મુક્તાનંદબાપુ સાથે શિક્ષણના બેક  પ્રસંગોએ જોડાવાનું બન્યું હતું. આ બંને પ્રસંગો મારા માટે ખૂબ રોમાંચક હતાં. નિવૃત્તિ બાદ વળી એક પ્રસંગ બન્યો. અમે ભાવનગરમાં નૂતન બાલ શિક્ષણ સંઘનું એક રાજ્ય અધિવેશન યોજેલું. તેમાં ગુજરાતનાં બાલમંદિરોને દફતરમુક્ત બનાવવાની અને જરૂર પડે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન કરવું પડે તો તેમાં પણ જોડવાની અમે સહુને હાકલ કરી હતી. આ અધિવેશનમાં પૂજ્ય મુક્તાનંદબાપુ પણ પધારેલા. સહુના આશ્ચર્ય વચ્ચે પૂજ્ય મુક્તાનંદબાપુએ પોતે પણ આ ઉપવાસમાં જોડાશે તેવું જાહેર કર્યું !!! આવા સંત મહાત્માને કેવી રીતે ના પાડવી?


આથી હાલમાં, હું મહંત શ્રીમુક્તાનંદબાપુએ સમાજ માંગલ્ય માટે શરુ કરેલા ‘આનંદધારા’ નામથી જાણીતા ક્રાંતિકારી યજ્ઞ કાર્યમાં જોડ્યો છું. આનંદધારાનાં પ્રથમ તબ્બકામાં જ 30 ગામોને અને તેની 37 સરકારી પ્રાથમિક શાળાઓને આદર્શ બનાવવાનો બાપુએ સંકલ્પ કર્યો છે. આ યજ્ઞકાર્યમાં જીલ્લા પંચાયત, સરકાર, સમાજ અને શિક્ષકો સહુનો સારો સહયોગ મળી રહ્યો છે.


પૂજ્ય ભાઈશ્રી, આજે મારે એક વિશિષ્ટ વાત પણ કરવી છે.
મારા લાંબા અનુભવે હું એટલું સમજી શક્યો છું કે, શિક્ષણને સાચી દિશા આપવી હશે તો શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયતત્તા બક્ષવી જ પડશે. સ્વાયતત્તા વિનાના શિક્ષણમાં નવતર પ્રયોગો શક્ય જ નથી. એક જ તોરતરીકાથી ચાલતું અને પ્રયોગો વિનાનું શિક્ષણ એક બંધિયાર પાણીથી વિશેષ કઈ જ નથી. આ પાણી માત્ર ગંધાતું જ નથી પણ રોગજન્ય પણ બની જાય છે.


પૂજ્ય મહાત્મા ગાંધીજી અને આચાર્ય વિનોબાજીને વાંચીને હું એ પણ સમજી શક્યો છું કે શિક્ષણમાં પરિશ્રમને વિશિષ્ટ સ્થાન આપવું જ પડશે. તેઓએ એક અદ્દભુત વાત કરી છે કે પરિશ્રમ કરવાથી તામસી ગુણોનું નિરસન થાય છે. તામસી ગુણોનું નિરસન થાય તો જ માનવતા જન્મે. પરિશ્રમ અને પ્રાથના પછી જ આધ્યાત્મિકતાની દિશા ખૂલે.


વિશ્વના જે કોઈ દેશ આજે શિક્ષણમાં આગળ છે ત્યાં ક્યાંય પણ આપણા જેટલો શિક્ષણનો ભાર નથી. ત્યાં સંગીત, કલા, રમતગમત, પ્રવાસ, પર્યટન, પ્રકૃતિ, અનુભવજન્ય શિક્ષણને પ્રથમ પ્રાધાન્ય છે. આ શિક્ષણમાં પરિશ્રમ અને હૃદયની કેળવણી સમાયેલી છે. ભારતનું શિક્ષણ તો આ બાબત થકી જ વિશ્વ ગુરુ હતું. શું ફરીને શિક્ષણને આવું  ન બનાવી  શકાય?  


હા, બનાવી શકાય. જરૂરથી બનાવી શકાય. તે માટે પ્રથમ તો રાજકીય ઈચ્છાશક્તિ જોઇશે. અને પછી આ વાત IAS અધિકારીઓએ અને  શિક્ષણ કેડરના અધિકારીઓએ ખાસ સમજવી પડશે. આજના નર્યા ગોખણીયા શિક્ષણ વચ્ચે આ સમજવી, સમજાવવી અને તેનો સ્વીકાર કરાવવો ખૂબ કઠિન છે. માટે આ બાબતની મુક્ત ચર્ચા કરવાનો સમય પાકી ગયો છે. અહી આપશ્રી અને આપ સમાં સંતોશ્રીઓ જરૂરથી દિશા દર્શન કરાવી શકે તેમ છો.


પૂજ્ય ભાઈશ્રી, આપશ્રીનું શ્રી સાન્દીપનિ વિદ્યાનિકેતન સ્વાયત્ત છે. સંસ્કૃતમય છે. સંગીત, પ્રાથના અને પરિશ્રમય છે. અહી અત્ર, તત્ર, સર્વત્ર હૃદયની કેળવણીના દર્શન થાય છે. શ્રી સાન્દીપનિ વિદ્યાનિકેતનનું સર્વના હૃદયમાં અનેરું સ્થાન છે. સહુ માટે તે દીવાદાંડી સમાન છે. માટે જ કહું છું કે, પૂજ્ય ભાઈશ્રી આજે શિક્ષણમાં આપશ્રી અને આપશ્રી સમા સંતમહાત્માઓના આશીર્વાદની અને દિશા દર્શનની તાતી જરૂરત છે.


પૂજ્ય ભાઈશ્રી, આપશ્રીનું શ્રી સાન્દીપનિ વિદ્યાનિકેત અમને સાંતત્વ આપે છે. આપશ્રીનાં યજ્ઞકાર્યમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું  જતન સમાયું છે. આપશ્રીના શિક્ષણયજ્ઞમાં ભાર વિનાનું ભણતર, માનવતાથી ભરેલી ભરેલી હૃદયની કેળવણી અને ભ્રષ્ટાચાર સામેની અહિંસક લડતના દર્શન થાય છે. આ માટે હું ફરી ફરીને આપશ્રીને વંદન કરું છું.


આપશ્રીને મારી નમ્ર વિનંતી છે કે મારી જો કોઈ ભૂલ થતી હોય તો મને માફ કરી તે અચૂક બતાવશો અને માર્ગદર્શન આપશો. મારાથી જો કોઈ અવિવેક થયો હોય તો આપશ્રીની માફી માંગું છું અને સાથોસાથ આશીર્વાદ પણ માંગું છું.


પૂજ્ય ભાઈશ્રી, હું ઘણું જીવ્યો. ભરી ભરીને સહુનો પ્રેમ પામ્યો છું. હવે જયારે થોડું બાકી છે ત્યારે મારું લક્ષ છે -
ભાર વિનાનું ભણતર, માનવતાથી ભરેલી હૃદયની કેળવણી, અને હા, ભ્રષ્ટાચાર સામેની લડત તો ખરી જ. આ બધી લડતમાં મને આપશ્રીના આશીર્વાદ જરૂરથી ફળશે તેવી પૂરી શ્રદ્ધા છે.


આ બધું અમેરિકાથી લખી રહ્યો છું. અહી હું અને દેવી પૌત્રીને રમાડવા પૂરતાં આવ્યા છીએ. દેવીને પેન્ટિંગનો શોખ છે. તેને આ અંગેનું અહીંથી ઘણું બધું મળી જશે. પૌત્રીનું નામ તાશી છે. તાશીનો બહુ મજાનો અર્થ  છે. મજાની આ ઢીંગલી સદાયે હસતી રહે છે અને અમને સહુને હસાવતી રહે છે. જબરી ખીલખીલાટ કરે છે. સીદીભાઈને…એવું નથી. ગૌરવ-શીતલ બાળમાનસને ધ્યાનમાં રાખી તાશીનો સરસ રીતે ઉછેર કરી રહ્યા છે. નાનો દીકરો મુંબઈમાં છે. તે પણ માનવતાવાદી, સર્જક અને કુટુંબપ્રેમી છે.


પ્રભુના અને આપ સર્વે સંતોના ખુબ ખુબ આશીર્વાદ છે. ખૂબ આનંદમાં છું. આનાથી વધુ શું જોઈએ?


હા, જે જરૂર છે તે આપશ્રીના આશીર્વાદની, જે આપશ્રીએ લાઈફટાઇમ એચિવમેંટ એવોર્ડ આપીને ભરી ભરીને આપ્યા છે.


હું અને મારો પરિવાર આપશ્રીના સદાયે ઋણી રહીશું.
આપના
નલિન પંડિતના
જયશ્રી કૃષ્ણ



વોર્ડ સમારંભના ફોટોગ્રાફ્સ :