20 November 2014

શિક્ષણમાં આપણું પછાતપણું અને ફિનલેન્ડ




(If you cannot read Gujarati fonts, please click here for PDF version)


મિત્રો,
નમસ્કાર.

આજે આપ સહુને આપનાં બાળકો જે શિક્ષણ મેળવી રહ્યાં છે તે કેવું છે તેની કેટલીક વેદનાસભર વાતો કરવી છે. તે માટે વિશ્વના શિક્ષણથી આપણી શાળાઓનાં શિક્ષણ સુધીની સફર કરીશું.

વિશ્વમાં દેશોમાં ભારત દેશનું સ્થાન ક્યાં?
વિશ્વની શ્રેષ્ઠ ૨૦૦ યુનિવર્સીટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી.
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

આપણાં દેશનું શિક્ષણ કેવું?
દેશનું શિક્ષણ ખાડે ગયું છે.
આ NCERT / MHRDનાં ડોક્યુમેન્ટમાં સ્વીકારાયું છે!
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

તો પછી ગુજરાતનું શિક્ષણ કેવું?
ગુજરાતનું શિક્ષણ એટલે ગોખણીયું શિક્ષણ.
વાંચો, લખો, ગોખો અને પરીક્ષામાં ઓકોનું શિક્ષણ.
સેંકડો વિદ્યાર્થીઓ આપઘાત કરે છે.
આપણાં બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે.

જે દેશ પાસે વલ્લભી, નાલંદા અને તક્ષશિલા જેવી ત્રણ ત્રણ વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠો હતી, તે દેશ આજે શિક્ષણમાં પછાત કેમ રહી જવા પામ્યો છે?

જે ગુજરાત પાસે વલ્લભી વિદ્યાપીઠ ઉપરાંત દક્ષિણામૂર્તિ જેવી દાદુ સંસ્થા હતી, આંબલા અને  લોકભારતી જેવી દાદુ સંસ્થાઓ  છે, તે ગુજરાત આજે શિક્ષણમાં પછાત કેમ રહી જવા પામ્યું છે?


કારણ, બુશર્ટનું પહેલું બટન જ ખોટું બિડાયું છે.

ગુજરાતમાં બાલમંદિરનાં બાળકોને અસમજદારોએ દફતરઘારી બનાવી દીધા છે. દફતર આવ્યું એટલે ભણવાનું આવ્યું. ભણવાનું આવ્યું એટલે હોમવર્ક આવ્યું. આ બધું આવ્યું એટલે પરીક્ષા નામનો છળકપટી રાક્ષસ પણ આવ્યો. આ બધાં થકી નાનકડો બાળક તો જીવતો જ મુવો છે! આમ, બુશર્ટનું પહેલું બટન જ ખોટું બિડાયું છે. આ આપણને સમજાતું નથી.

ગુજરાતમાં યુનિવર્સિટીઓનું શિક્ષણ પણ ગુજરાતીભાષામાં જ મળે તે માટે ગુજરાત યુનિવર્સીટીની સ્થાપના થઇ હતી. તે ગુજરાતમાં આજે અત્ર તત્ર સર્વત્ર અંગ્રેજી માધ્યમ કેન્સરની જેમ પ્રસર્યું છે. અંગ્રેજી માધ્યમ પણ છળકપટી મોટો રાક્ષસ છે. તેણે તો અદ્દ્ર્શ્ય રહી સંસ્કાર અને સંસ્કૃતિ પર ઘા મારવાનું ચાલુ કર્યું છે. ભારત દેશને અન્ય રીતે ફરી ગુલામ બનાવવાનું શરૂ કર્યું છે. આ આપણને સમજાતું નથી.

શિક્ષણ તો મિત્રાચારીવર્ધક હોય. તેના બદલે મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં હરીફાઈ અને પરીક્ષાએ ઘોર ખોદી છે. હરીફાઈ અને પરીક્ષા મિત્રાચારીના બદલે દ્વેષ અને દુશ્મનીના બીજ રોપવાનું કામ કરી રહ્યું છે. હરીફાઈ અને પરીક્ષાએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને ખતમ કરી નાખી છે. આ આપણને સમજાતું નથી.

શિક્ષણ તો જીવનકૌશલ્ય માટેનું હોય. તેના બદલે આજનાં શાળા, કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણને જીવનકૌશલ્ય શિક્ષણ સાથે સ્નાનસુતકનોય નાતો નથી. આ શિક્ષણે યુવાનોને પાંગળા અને પરાવલંબી બનાવી દીધા છે. યુવા અવસ્થાને બેહાલ કરી નાંખી છે. આ આજનું શિક્ષણ છે. આ આપણને સમજાતું નથી.

આ બધું થવા પાછળનાં અનેક અનેક કારણો છે. આ કારણો અને શિક્ષણનાં સાચા માર્ગને કોઈ IAS અધિકારીઓ પકડી ના જ શકે. (હા, એકાદ બે અપવાદરૂપ IAS અધિકારીઓ જરૂરથી જોયા છે, તેઓને સલામ) શિક્ષણમાં IAS અધિકારીઓને કોણે મૂક્યાં? આ આપણને સમજાતું નથી.

સાચા કારણો જાણવા માટે અને સાચો માર્ગ પામવા માટે સાચુકલાં શિક્ષણશાસ્ત્રીઓને પૂછવું પડશે. વિશ્વના ઉત્તમ શિક્ષણને જાણવું પડશે. આ આપણને સમજાતું નથી.

અન્યથા આ માર્ગ ટચુકડો એવો ફિનલેન્ડ નામનો દેશ પણ બતાવી શકે તેમ છે. સમગ્ર વિશ્વમાં શિક્ષણમાં નંબર વન દેશ ફિનલેન્ડ છે.

અમેરિકા ગયો ત્યારે ત્યાં વેકેશન ચાલતું હતું. તેથી ત્યાનાં શિક્ષણને પ્રત્યક્ષ તો જોવા ન મળ્યું. પરંતુ ત્યાં બેઠા બેઠા અમેરિકા ઉપરાંત વિકસિત દેશમાં કેવું શિક્ષણ ચાલે છે તેની મહત્વની માહિતી જરૂરથી પ્રાપ્ત કરી શક્યો. તેમાં ફિનલેન્ડનું શિક્ષણ મનને સ્પર્શી ગયું. (થોડા સમય પહેલાં ‘વિચાર વલોણા’ નામનાં સામયીકમાં પણ ફિનલેન્ડ દેશનાં શિક્ષણ વિશે વાંચી ખરેખર નાચી ઉઠેલો. ‘વિચાર વલોણા’ને સલામ.)
ફિનલેન્ડમાં શિક્ષણ સંપૂર્ણ સ્વાયત છે, અને છતાં, શિક્ષણની તમામ નાણાકિય જવાબદારી સરકાર અદા કરે છે! અહીં શિક્ષણ પરીક્ષાથી મુક્ત છે! છેને અદ્દભૂત! તો ચાલો જાણીએ આ ફિનલેન્ડ દેશના શિક્ષણ વિશે...  

: ફિનલેન્ડનું શિક્ષણ :
  • લોકશાહી દેશનું શિક્ષણ
  • દેશની સંસ્કૃતિને પોષતું શિક્ષણ    
  • સ્વાયત શિક્ષણ
  • 100 % સાક્ષરતા
  • બધી સંસ્થાઓને 100 % ગ્રાન્ટ
  • બાલમંદિર માટે એક વર્ષ
  • સાત વર્ષ પૂર્ણ થયે શાળા પ્રવેશ
  • શ્રેષ્ઠ 10 % ગ્રેજ્યુએટમાંથી જ શિક્ષકોની પસંદગી
  • શિક્ષકો માટે એમ. એડ. ફરજીયાત
  • શિક્ષક દર અઠવાડિયે બે કલાક પોતાનાં વ્યાવસાયિક વિકાસ માટે ફાળવે
  • સામાન્ય રીતે 300 વિદ્યાર્થીઓની શાળાઓ
  • અભ્યાસક્રમમાં માત્ર ગાઈડ લાઈન્સ
  • પરીક્ષા નહિ
  • હોમવર્ક નહિ
  • 75  મિનિટનાં પીરીયડ
  • 75  મીનીટની રીશેષ  
  • બાળકો બાળકો વચ્ચે સરખામણી નહિ, સ્પર્ધા નહિ
  • હોંશિયાર અને ઠોઠ બાળકો બધાં એક જ વર્ગમાં
  • પ્રથમ નવ વર્ષ બેઝીક શિક્ષણનો કોર્ષ   
  • 43% વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણમાં શાળામાં જાય
  • વ્યાવસાયિક અભ્યાસમાં પ્લમ્બિંગ અને કન્સ્ટ્રકશન ઉપર વિશેષ ભાર
  • એપ્લાઈડ સાયંસની 27 યુનિવર્સિટીઓ
  • શિક્ષકોનું ડોક્ટર વકીલો જેટલું જ માનપાન  
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે વાહન સુવિધા
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે ભોજન
  • બધાં વિદ્યાર્થીઓની વિનામુલ્યે આરોગ્ય જાળવણી
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક સાધનસામગ્રી
  • પ્રત્યેક વિદ્યાર્થીનું વિનામુલ્યે કાઉન્સેલિંગ

ફિનલેન્ડને જેમ સમજવાની  કોશીષ કરું છું તેમ મને  ફિનલેન્ડના અદ્દભૂત શિક્ષણમાં આપણી આઝાદી કે તેના આસપાસનાં સમયની દક્ષિણામૂર્તિ, ઘરશાળા, આર્યકન્યા ગુરુકુળ, સાંદીપની ગુરુકુળ, સી. એન. વિદ્યાલય, શ્રેયસ, વેડછી, આંબલા કે આ વિચારધારાની અનેક સંસ્થાઓ, શાંતિનિકેતન કે ત્રણે પુરાતન વિશ્વ વિદ્યાપીઠનાં દર્શન થાય છે.

ફિનલેન્ડના શિક્ષણમાં મને મહાત્મા ગાંધીજી, સર્વશ્રી જે. કૃષ્ણમૂર્તિજી, ગુરૂવર્ય ટાગોરજી, મહર્ષિ અરવિંદજી, પૂજ્ય વિનોબાજીથી માંડી માન. યશપાલજી કે પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનજી કે અબ્દુલ કલામ સાહેબનાં શિક્ષણ વિચારોનું ક્યાંક ને ક્યાંક દર્શન થાય છે.

આ બધું આપણું જ હતું. આપણી પાસે જ હતું.  છતાં કેમ ગુમાવ્યું? આ આપણને સમજાતું નથી.

જુઓ તો ખરાં! આપણી ચિલ્ડ્રન યુનિવર્સિટી અને શિક્ષક યુનિવર્સિટીને પણ સ્વાયત નથી. તો પછી આપણી શાળાઓને સ્વાયતત્તા મળે તેવાં સપના તો ક્યાંથી સેવવા? સ્વાયતત્તા વિનાનું શિક્ષણ, બંધિયાર પાણીની માફક ગંધાય જ ઉઠે. આ આપણને સમજાતું નથી.

એક બાજુ શિક્ષકના ત્રાસથી આપઘાત કરનાર બાળકનાં સમાચાર માત્રથી હચમચી જતો ગુજરાતનો સંવેદનશીલ સમાજ છે. તો બીજી બાજુ શિક્ષણની નીતિને કારણે આપઘાત કરતાં સેંકડો બાળકો માટે લાચારી અનુભવતો પણ આ જ સમાજ છે.

આપણા રાજ્યમાં શિક્ષણ વિશે અલ્પ અને એકાંગી સમજણ ધરવતાં નીતીધારકો છે. જેને શિક્ષણનાં કે શૌચાલયનાં 'શ' ની પણ ખબર નથી તેનો શિક્ષણમાં અકલ્પ્ય ચંચૂપાત છે. આ આપણને સમજાતું નથી.

આ માર્ગ ફિનલેન્ડ નામનો ટચુકડો દેશ બતાવી શકે તેમ છે. આ લેખ આપને ગમે તો, આપનાં મિત્રોની વચ્ચે વિતરણ કરવા નમ્ર વિનંતી છે.

|| બાલ દેવો ભવ ||


નલિન પંડિત
પૂર્વ નિયામક, GCERT                          
ભાવનગર
94289 96622 | nalin.pandit@gmail.com

No comments:

Post a Comment