24 August 2016

દફતર અને હોમવર્કનો અધધધ...ભાર ઘટાડવા કાયદો ઘડવા વિનંતી

ડો. નલિન પંડિત
પૂર્વ શિક્ષણ નિયામક, GCERT - ગાંધીનગર

માન. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, માન. શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
માન. અગ્ર સચિવશ્રી – શિક્ષણ, ૭મો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર

વિષય : દફતર અને હોમવર્કનો ભાર ઘટાડવા કાયદો ઘડવા વિનંતી

મહોદય શ્રી,

આજે ગુજરાતનાં પ્રાથમિક શાળાનાં બાળકો દફતરનો અને હોમવર્કનો અધધધ... ભાર વહન કરી રહ્યાં છે. ખાસ કરીને આ ભાર ખાનગી શાળાઓમાં વિશેષ જોવા મળે છે. હા, કેટલીક જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તથા નગરપાલિકા કે કોર્પોરેશન શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં પણ આવો ભાર છે.

થોડા સમય પહેલાં ગુજરાતમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવતાં સમાચારપત્રમાં તેમજ એક રાષ્ટ્રીય ચેનલમાં દફતરનાં ભાર અંગે વિસ્તૃત અને ચોંકાવનારો અહેવાલ પ્રસિદ્ધ થયેલો. એક સમાચારપત્રમાં આવેલું કે દફતરના ભારનાં કારણે સુરતમાં એક દીકરીનો હાથ ભાંગ્યો.

થોડા વર્ષો પહેલાં ભાવનગરનાં ખૂબ જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આઈ કે વીજળીવાળાસાહેબનો લેખ પ્રસિદ્ધ થયેલ. જેમાં દફતરનાં અને હોમવર્કનાં ભારથી બાળકોને થતાં નુકશાન અંગે સંશોધન આધારિત ચોકાવનારી હકીકતો દર્શાવવામાં આવી છે. જેને ભાવનગરના ખૂબ માનીતા કેટલાયે બાળરોગ નિષ્ણાત ડોક્ટરશ્રીઓએ પૂરતું અનુમોદન આપેલ.

દફતરનાં અધધધ....ભારનાં કારણે બાળકોને થતું ભારે નુકશાન:

  • કરોડના હાડકાઓનાં વળાંકને નુકશાન થાય છે.
  • કરોડરજ્જુની આજુબાજુના સ્નાયુઓ ખૂબ ખેચાણ અનુભવે છે, કુર્ચાને નુકશાન થઇ શકે છે. 
આના કારણે,

  • લાંબા સમયનો દુઃખાવો થાય છે,
  • વાંકા વળવાની અને ફરવાની ક્રિયાને નુકશાન થાય છે,
  • ઊઠવા બેસવા ચાલવામાં ઝાડા અને પેસાબમાં તકલીફ પડે છે.
  • ખભાના સ્નાયુ અને હાડકાને નુકશાન થાય છે.
  • મણકાની ગાદી વચ્ચે રહેલાં પ્રવાહીને નુકશાન થાય છે.
  • નાની ઉમરે સ્પોન્ડીલાઇટીસ અને ઓસ્ટીઓઆર્થાઇટીસ થાય છે.
  • ૬૦% જેટલાં બાળકોને કમરદર્દની પીડા થાય છે.


આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ

દફતરનું વજન બાળકના વજનના દશમાં ભાગનું હોવું જોઈએ!
હોમવર્ક, ધોરણ ગુણ્યા દશ મિનિટ હોવું જોઈએ!!

NCERTની ગાઈડ લાઈન મુજબ

ઉપલા ધોરણોમાં વધુમાં વધુ બે કલાક હોમવર્ક હોવું જોઈએ!!!


સરકાર જ્યાં સુધી બધાં બાળકોને ટેબ્લેટ ના આપી શકે ત્યાં સુધી દફતર અને હોમવર્કનો ભાર ઘટાડવા અંગે કાયદો ઘડી ગુજરાતનાં લાખો બાળકોનાં ઉજળા ભવિષ્યને બચાવવું ખૂબ જરૂરી છે.

વિશેષ : બાલમંદિર અંગે કેરાલા હાઇકોર્ટનો ચૂકાદો અભ્યાસ યોગ્ય છે.

આભાર.

આપનો અને બાળકોનો
ડૉ. નલિન પંડિત

જાણ સારું: નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ - ગાંધીનગર અને નિયામકશ્રી, GCERT - ગાંધીનગર

18 August 2016

થવા : શિક્ષણની ખુશ્બુ

સ્વાતંત્ર દિને બે દિવસ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલ એવા થવા ગામનાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળનાં શૈક્ષણિક કેમ્પસમાં જઈ આવ્યો. આજનાં એક ઋષિ એવા ગાંધીવાદી ૮૨ વર્ષનાં માનસિંહદાદાને વંદન કરી આવ્યો. થવા આશ્રમમાં જઈ પાવન થઇ આવ્યો.  
મારી માટે આ પ્રવાસ એક સુખદ યાત્રા બની રહી. મારાં ધન ઘડીને ધન ભાગ્ય. મારી હરેક પળ  રળિયામણી બની રહી.  
થવા વાલિયા એટલે GCERT અને DIET પરિવારનાં દિલને જીતીને યાદગાર બની રહેલું સ્થળ. અહીં અમે  અમારી જાતને ઓળખવા ઘસવા અને ઉજળી કરવાં(કેપેસીટી બિલ્ડીંગ માટે) મળેલાં. અહીં અમે ડાંગના ઘેલુભાઈ નાયકને રૂબરૂમાં માણેલા. તેઓનું પણ એક અદ્દભુત વ્યક્તિત્વ હતું. આવા અનેક કારણે આ સંસ્થા સાથે આજે પણ ગાઢ નાતો બંધાયેલો છે. આ નાતે હું થવા આવી અહીની સાંજની પ્રાર્થના માણી આવ્યો અને રાષ્ટ્વંદનામાં પણ ભાગીદાર બની આવ્યો.
આગલી રાત્રે ધૂન ભજન અને પ્રાર્થના માણી. અદ્દભુત અદ્દભુત. બે ત્રણ હજાર આદિવાસી દીકરીઓના કંઠે ગવાયેલી એ પ્રાર્થનામાં શું મીઠાશ હતી! શું મીઠી હલક હતી! માત્રને માત્ર ઢોલકનો સાથ હતો. એકાદ બલ્બનો પ્રકાશ હતો. નીરવ શાંતી હતી. પુરબહારમાં પ્રકૃતિ ખીલી હતી. મસ્ત હવા હતી. માથે ચંદ્રમા ખીલીને પ્રકાશ પાથરી રહ્યો હતો. માઈક વિનાની આ પ્રાર્થના મનને પોષક બની રહી.
પ્રાર્થના એટલે હૃદયની કેળવણી. પ્રેમ કરૂણા દયાભાવ સત્ય અહિંસા આ બધું ત્યારે જ આવે જયારે હૃદયની કેળવણી હોય. શાળામાં સંગીત સાથેની પ્રાર્થના, સંગીતથી મઢેલા કાવ્યો, સાહિત્ય, કળા, સંસ્કૃત, રમત સાથેનું શિક્ષણ હોય ત્યારે જ હૃદયની કેળવણી પામી શકાય છે.
ગાય પ્લાસ્ટિક ખાતી ન હોય પણ મા એ બનાવેલી ગાય કુતરાની રોટલી ખાતી હોય. ઘરમાં ચકલાના માળા હોય, ચકલાને ચણ હોય અને પાણીના કુંડા હોય. કોઈ ગરીબની સેવામાં મન લાગતું હોય ત્યારે હૃદયની કેળવણી પામી શકાય છે.  
આજે તો શહેરની શાળાઓમાંથી પ્રાર્થનાનો અસ્ત થવામાં છે. ગ્રામ્ય વિસ્તારમાં અને પ્રાથમિક શાળાઓમાં હજુ પણ તે કઈક જળવાઈ રહી છે. કોઈ કોઈ શાળાની પ્રાર્થના તો મનડું ચોરી જાય તેવી પણ  છે.
અત્યારનું શિક્ષણમાં તો માત્ર સ્વાર્થીઓને પેદા કરવાનાં અને લુખા મગજને તૈયાર કરવાનાં કારખાનાં માત્ર બની રહ્યાં છે. હે, મેકોલે, તું જ્યાં હો ત્યાં, પણ સાંભળ. તારી કારકુનો પેદા કરવાની કરામતને અમારા IAS સાહેબો સરસ રીતે આગળ ધપાવી રહ્યાં છે. તારે બીજો અવતાર લેવાની જરૂર નથી. હા અમારાં સંચાલકો પણ તેને સાથ આપી રહ્યાં છે. હવે પછી તારે એકેય અવતાર લેવાની જ જરૂર નથી.
હા, અહીં મારે બે IAS  અધિકારી સાહેબોને ખાસ યાદ કરવાં છે. જેઓ શિક્ષણ સચિવ હતાં. ખૂબ સારું અને અસરકારક કામ કર્યું. બન્ને સાહેબોની એક વિશેષતા હતી. સહુને પૂછીને તેમાંથી માખણ તારવીને નિર્ણય કરતાં. નિર્ણયનો અમલ કરવામાં પણ નીચેના અધિકારીઓને પુરતી સહાય કરતાં. આ નિરાભિમાની સાહેબો એટલે માન. શ્રી સુધીર માંકડ સહે બ અને બીજા માન. બી બી સ્વેન સાહેબ. તેઓને મારી સલામ.   
આજનું શિક્ષણ હૃદય વિનાનાં માણસો પેદા કરી રહ્યું છે. રોબોટ પેદા કરી રહ્યું છે. આવુંને આવું ચાલ્યું તો ભવિષ્યમાં આપણને રોબોટીયા સાહેબો કે રોબોટીયા CEO  જ મળવાના છે. પણ અરે રે રોબોટીયા રાજકારણીઓ પણ મળશે ત્યારે શું થશે? વળી ગુલામ બની જઈશું.
ગાંધીજી રોજ સમીસાંજનાં પ્રાર્થના કરતાં. વૈષ્ણવ જન... તેનું પ્રિય ભજન. જેવું આ ભજન તેવું જ  ગાંધીબાપુનું આચરણ. આટલી અમસ્થી પ્રાર્થનામાંથી તેઓ અજબગજબની શક્તિ મેળવી લેતાં.
ગાંધીબાપુનું લશ્કરમુક્ત ભારતનું સ્વપ્ન હતું. આજે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ વચ્ચે કોઈ ગાંધીબાપુને પાગલ પણ ગણે. તો સંભાળો કાન દઈને સાંભળો. આજે યુરોપમાં કેટલાયે એવા દેશો છે જ્યાં લશ્કર નથી. પડોશી દેશ સાથે મિત્રાચારીના કરાર છે. આ દેશોના GDP કે HAPPINESS INDEX ખૂબ ઊંચા છે. સૌ ગજબની પ્રગતી કરે છે અને સુખ શાંતીથી જીવે છે.
ગાંધીબાપુની વાત માની હોત તો દેશના ભાગલા જ ના પડ્યા હોને? તો ભારત પણ લશ્કરમુક્ત દેશ બની શક્યું હોત. સોનેકી ચીડીયાનો સમય પાછો લાવી શક્યા હોત. આઝાદી સમયે આ શક્ય હતું. કારણ આપણી પાસે વિશ્વનાં યુગ પુરુષ( ગત હજાર વર્ષનાં) ગાંધીબાપુ હતાં.
આજે તો હવે યુદ્ધ વિના આરો દેખાતો નથી. સતાના ખેલ નિરાળા છે. એક યુદ્ધ એટલે દશકાઓનો પછડાટ. GDP કે HAPPINESS INDEXનો ભાંગીને ભુક્કો બોલી જાય. ગરીબો માટે સોનાનો દિવસ ક્યારેય ના ઉગે. હે ગોડસે, મારાં ભાઈ, તું થોડો વિચારશીલ કેમ ના બન્યો?
ગાંધીબાપુ ભલેને ગયા પણ ગાંધી વિચાર તો રહ્યો છે. તે ક્યાં મરવાનો છે? દિવસે દિવસે ગાંધી વિચારનો નાદ મોટો થતો જાય છે. સમગ્ર વિશ્વને ગાંધી વિચારમાં ભીંજાયા વિના આરો જ નથી. જૂઓને, એક માત્ર સ્વચ્છતાની વાત પકડી મોદીસાહેબ દેશમાં કેવો જુવાળ પ્રગટાવી શક્યા! હવે તેઓ ખાદીનો પ્રચાર કરી રહ્યાં છે. આનંદો. લગે રહો.     
૭૫માં સ્વાતંત્ર દિવસનું પ્રભાત આદિવાસી ગામ થવામાં મજાનું બની રહ્યું. પ્રભાત થતામાં તો પ્રભાત ફેરી નીકળી. દીકરીઓને માથે આસોપાલવના પર્ણથી શોભતા ગરબા હતાં અને તેમાં દીપક હતાં. તો દીકરાઓનાં હાથમાં મશાલ હતી. સહુ બોલતાં જાય કે  ....જાગો રે જાગો, સવાર પડી.
થવામાં પહેલાં સરકારી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કર્યું. બગીચાવાળી સુંદર શાળા. વિવેકસભર ગુરુજીઓ. ભોળા ભોળા ભૂલકાઓ. એક બાળક દ્વારા ધ્વજવંદનની કાર્યવાહી થઇ. સુંદર સુત્રો બોલાયા. બધું જ હૃદયભાવન બની રહ્યું. તે પછી માધ્યમિક વિભાગ અને ત્યારબાદ સમગ્ર તાલુકાનું ધ્વજવંદન થયું. સરકારી તંત્રે આ આ આશ્રમને પસંદ કર્યો તે માટે જાહેરમાં અભિનંદન આપ્યા.
લીલીછમ પ્રકૃતિ, મસ્તમજાની ગીરીમાળા, વચ્ચે આશ્રમ અને તેમાં ધ્વજવંદન. તે પણ તાલુકાનો. તાલુકાના અધિકારીઓ સહૃદયી. મુંબઈ સુરત ડાંગના મહેમાનો પણ સહૃદયી અને અનોખા.
આ સમારોહમાં રાજ્ય અને રાષ્ટ્રમાં ખેલાડી તરીકે પસંદ પામેલાં વિદ્યાર્થીઓનું સન્માન થયું. મે પ્રવચનમાં ફિનલેન્ડને યાદ કર્યું. ફિનલેન્ડ શિક્ષણમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. તેનું એક કારણ છે કે ત્યાં રમત ફરજીયાત છે.
વિદ્યાર્થીઓએ આપેલાં કાર્યક્રમો અનોખા બની રહ્યાં. ગુરુજીઓની મહેનત રંગ લાવી. સુરતથી આવેલાં મહેમાનોએ મહેંદી કોર્ન આપીને દીકરીઓનાં દિલ જીતી લીધા. તાલુકાનાં પોલીસ અધિકારી ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ અનુસ્નાતક! વરસાદની સાક્ષીએ સ્વાતંત્ર પર્વ બરાબર છવાયું. ખૂબ મજા આવી.
મહેમાનો મારી માટે વંદન યોગ્ય બની રહ્યાં. મુંબઈથી ૮૧ વર્ષના વડીલ શ્રી મધુસુદનભાઈ વોરા પધારેલા. આ સંસ્થાને તેમનાં મોટા બહેન હંસાબહેન મહેતાએ અને બનેવી સ્વ. બાલકૃષ્ણભાઈએ ૮૦ લાખ જેવી માતબર રકમની સહાય કરી છે, અને હજુ કરતાં રહે છે. તેઓની સાથે તેઓનાં અનેક મિત્રો પણ મુંબઈથી આવે છે. સહુ સંસ્થા જોઈ ખૂબ ખુશી અનુભવે છે. મધુસુદનભાઈ તો અવારનવાર અહીં આવતાં રહે છે. તેઓને મન આ આશ્રમ તીર્થસ્થાન બની રહ્યું છે.
કાયમી ખાદીધારી એવા ૮૫ વરસનાં પોતાનાં મોટીબહેનનાં ગાંધીજી પ્રત્યેનાં લગાવની, બહેને જાતે કાંતેલી સુતરની આટી ગાંધીજીને પહેરાવી હતી તે પ્રસંગની વાત, આજે પણ મધુસુદનભાઈને એવીને એવી યાદ છે. આ પ્રસંગે તેઓની ઉમર બાર વર્ષની હતી. બાપુને આટી પહેરાવતી વખતે તેઓ પણ ઉપસ્થિતિ હતાં. આ પ્રસંગને વર્ણવતા તેઓની આંખ ભીંજાઈ જાય છે.
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વસેલ જાફરાબાદ મોટા બહેન હંસાબહેનનું વતન છે. અહીં મહેતા કુટુંબે આઝાદીના સમયથી એક સુંદર મજાની સ્કૂલ શરૂ કરી છે. તે સમયથી તે સ્કીલ બેઝ્ડ છે. મે આ શાળાની અનેકવાર મુલાકાત લીધી છે. તેનું ઈન્સ્પેકશન પણ કર્યું છે. તેનો આનંદ છે.
આજે મુંબઈમાં જેનું કોઈ નહિ તેના બની રહીને આ હંસાબહેન મોટી સખાવત કરી રહ્યાં છે, તે જાણીને હૃદય ભીંજાયું. ટૂંકા પરિચયમાં પણ એક ગાંધી વિચારને વરેલા માનવી મધુસુદનભાઈ અને પરોક્ષ રીતે હંસાબહેનને મળીને હું ધન્ય બની રહ્યો.
બીજા મહેમાને થવા ગામથી નજદીક નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે વિદ્યાધામ ઉભું કર્યું છે. વિદ્યાભારતીને વરેલા છે. નિવાસી શાળા છે. હજુ તો શરૂઆત છે. અહીં નયનરમ્ય વૃક્ષારોપણ થઇ રહ્યું છે. હવે ટૂંક સમયમાં તેઓ આસપાસનાં વિસ્તારમાં જળસંચયનું મહાન કામ હાથ ધરવાનાં છે. જળ એ જ જીવન છે, તેની અદ્દભુત સમજદારી છે.
થવા અને કાકડકુઈ. આ બધું અનુભવતા લાગે છે કે ગુજરાતે બુનીયાદી શિક્ષણ કે વિદ્યાભારતીનો રાહ પકડીને ચાલ્યુ હોત તો આજનાં ગુજરાતની શિકલ જ જુદી હોત. આજે સેંકડો વિદ્યાર્થી આપઘાત કરે છે. આપઘાત એ આજનાં શિક્ષણનો વરવો અરીસો છે. બુનીયાદી શિક્ષણ કે વિદ્યાભારતીમાં વિદ્યાર્થીઓની સર્જન શક્તિ ખીલે ઉઠે છે.
આજની શિક્ષણ પદ્ધતિમાં અને તે પણ અંગ્રેજી માધ્યમમાં પ્રેમ વિના ભણેલાં, તણાવ હેઠળ ભણેલાં રોબોટ પણ રામ રામ તો ભજવાનાં છે. પણ મુખમે રામ બગલમે છુરી પણ હોઈ શકે.
બુનીયાદી શિક્ષણમાં તૈયાર થતો વિદ્યાર્થી તક મળી કે માલિક બનવા સર્જાયો છે. હા, માલિક બનવાં. આજનાં મેકોલેબ્રાન્ડ ગોખણીયા શિક્ષણમાં ઉપલા દશ ટકામાં આવતાં વિદ્યાર્થીઓ આ માલિકનાં મેનેજર બનવા જન્મ્યા છે. બીચારા. અહીં મેનેજર તરીકે તેને શાળામાં પરાણે ગળે વીંટાળેલ ટાઈ કોટ અને ચકમકતા શુઝ જરૂર કામ લાગે છે. અહીં તેને પોપટિયું અંગ્રેજી પણ બે પાંચ ટકા કામે લાગે છે.  
કોણ માલિક બને અને કોણ મેનેજર બને, તેનું સુરત અદ્દભુત ઉદાહરણ છે. સુરતમાં ઓછું ભણેલાં માનવીઓ માલિક છે અને અને ટોપર બધાં તેમની નીચે કામ કરે છે. ઓછું ભણેલાં માલિકનું રુદય ચાલે છે તેથી સેવાનાં ભેખધારી છે. અને મેરિટમાં આવેલાનું પૈસા માત્ર મગજ ચાલે છે. એક પાસે રુદયની કેળવણી છે બીજા પાસે લુખા મગજનું શિક્ષણ છે. મેરીટ મેરીટ અને મેરીટ, સ્પર્ધા સ્પર્ધા અને સ્પર્ધાનું રટણ કેટલું ખોખલું અને ભ્રામક છે તેની અહીં પોલ ખૂલી જાય છે.
મને યાદ છે કે એક વખતનાં મારા IAS  બોસ કહેતા હતાં કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે માટે અહીંથી IAS થતાં નથી. ત્યારે મે કહેલું કે એવું નથી. ગુજરાતનાં વિદ્યાર્થીઓનું સ્વપ્ન IAS બનવાનું નથી, પરંતુ માલિક બનવાનું  હોય છે. તેથી જ આવાં માલિકને ત્યાં IAS જોડાયેલાં છે. રીલાયન્સ કે અદાણી જેવાં  ઉદાહરણ મોજુદ છે. સર, આ ગુજરાત છે. જો આ માલિક અને મેનેજેરની વાત પકડી શકાય તો કલ્યાણ થઇ જાય.
વિદ્યાભારતીને વરેલા અને માત્ર એક બે ચોપડી ભણેલાં આ કાકડકુઈનાં મહેમાનનું ઉદાહરણ જુઓ. સીધા સાદા. પોતાની મીઠી મધુરી ગ્રામ્ય બોલીમાં બોલતા આ વડીલે કરોડો રૂપિયાનું દાન કર્યું છે અને હજુ કરે જાય છે. અંગ્રેજી માધ્યમની ઘાતક અસરને તેઓ બરાબર સમજી શક્યા છે. તેઓની જીવદયા અને દેશનિષ્ઠા વંદનને યોગ્ય છે. ગઢડા પાસેના વતની અને હાલમાં સુરતવાસી આ સહૃદયી વડીલનું નામ ભૂલી જવા બદલ ક્ષમા માંગું.
કાકડકુઈમાં મે વાત કરી કે તમારાં સુરતમાં જ એક શાળા એવી છે જ્યાં દશ ધોરણ સુધી પરીક્ષા નથી પુસ્તક નથી હોમવર્ક નથી ટ્યુશન રાખવાની મનાઈ છે અને મેરિટની વાતને ક્યાંય સ્થાન નથી. અહીં ડોક્ટર એન્જીયર સીએ અને જાણીતા શિક્ષણશાસ્ત્રીઓના બાળકો ભણી રહ્યાં છે. છેલ્લા બે વર્ષનું ધોરણ દશમાં ધોરણનું પરિણામ ૧૦૦ % છે.
આ વાતને વધાવીને એ વડીલે કહ્યું કે તેઓના ધ્યાનમાં પણ એક શાળા છે. જ્યાં સાત ધોરણ સુધી પરીક્ષા નથી. હું આ વાતને યોગ્ય રીતે પકડી ના શક્યો. કારણ મારું મન ભાવનગર પહોંચવા તલપાપડ હતું. દેવી નાનકડાં ફ્રેક્ચરથી પીડાતી હતી. મારે સાત ધોરણ સુધી પરીક્ષા નથી તે વાતને પકડવી ખૂબ જરૂરી હતી.
હા, સુરતની એક બીજા છેડાની વાત પણ કરું. સુરતવાસીઓને અને સમગ્ર સૌરાષ્ટ્રના વાલીઓને અંગ્રેજી માધ્યમના રવાડે ચડાવનાર પણ સુરત જ છે. (હા, સૌરાષ્ટ્રમાં રાજકોટ પણ ખરું.જ) વાલીઓને ભ્રમમાં નાખવા વળી અહીં એસી શાળાઓ પણ શરૂ કરી. તાલ માટે તેલ વહેચનારા આ અજબગજબના માણસો છે.
કાકડકુઈની આ શાળામાં એક બીજા યુવાનને પણ મળવાનું થયું. તેઓ પણ ધ્વજવંદનમાં ઉપસ્થિત હતાં. તે અને તેમની સેવાભાવી ટીમ જે કોઈ શાળાઓને છાત્રાલયની જરૂરિયાત હોય ત્યાં પોતાનાં ખર્ચે છાત્રાલય બાંધી આપવાં માટે કટીબદ્ધ છે. આ મિત્રોને ભેટવાનું મન થાય છે.
પાટણનો એક બનાવ બન્યો અને તાલીમી સંસ્થાઓમાં છાત્રાલયને બંધ કરી દેનાર સરકાર અને તેના IAS  અધિકારીઓએ ગજરાતના શિક્ષણને ભારે નુકશાન કર્યું છે. કેળવણી કોને કહેવાય તે સમજવામાં વારસો લાગે છે. IAS  અધિકારીઓ શુદ્ધ મનથી જ નિર્ણયો લેતા હશે તો પણ ભારે ભૂલ કરી બેસે છે. સરકારે IAS  અધિકારીઓનાં હાથમાં જ શિક્ષણનું સુકાન સોંપી દીધું છે. તેનું ભારે દુઃખ છે.
પાટણનાં પ્રસંગ પછીનાં સમયમાં થવા આશ્રમમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં સણોસરા લોક્ભાભારતીથી ડૉ. અરુણભાઈ દવે પણ ઉપસ્થિત હતાં. તેઓએ છાત્રાલયનાં મહિમાની માંડીને વાત કરી હતી. અહીં ઉપસ્થિત એક વડીલ પત્રકારશ્રીએ કબુલ્યું હતું કે અમે આજ સુધી આ સત્યને સમજી જ શક્યા નથી અને ખોટી માન્યતાને આધારે છાત્રાલય વિરુદ્ધમાં અનેક લેખ છાપી માર્યા છે.
આજે સ્વચ્છતાની બાબતમાં પણ આવું બની રહ્યું છે. સ્વછતા એ પરિશ્રમનો એક ભાગ છે. પરિશ્રમ એ કેળવણીનો મહત્વનો ભાગ છે. પરિશ્રમ વિનાનું શિક્ષણ પાંગળું છે એકાંગી છે તે સમજ્યા વિના આજે મીડિયાનાં કેટલાંક મિત્રો વિદ્યાર્થીઓનાં પરિશ્રમને મજુરી ગણાવીને ફોટા અને વિડીયો ક્લીપ બતાવી ભારે નુકશાન કરી રહ્યાં છે.
ગુજરાતનું સદનસીબ સમજો કે પંચાયતની પ્રાથમિક શાળાઓમાં સ્વછતા માટે એક પણ સેવક નથી. તેથી વિદ્યાર્થીઓ જાતે વાળવાઝુડવાનું કામ કરી રહ્યાં છે. બગીચામાં માળી નથી એટલે ઝાડને પાણી પાવાનું કામ કરી રહ્યાં છે. ગુરુજીઓ પણ જોડાઈ રહ્યાં છે. બધાં હોંશે હોંશે કરી રહ્યાં છે. આ કામ એ હરગીજ મજુરી નથી. આ પરિશ્રમ છે.
મજુરી અને પરિશ્રમ વચ્ચે હાથી ઘોડાનો તફાવત છે. પરિશ્રમ એ હૃદયનું શિક્ષણ છે. માનવતાનાં બીજ રોપવાનું શિક્ષણ છે. ઉચ્ચ નીચના ભેદ મિટાવવાનું શિક્ષણ છે. શિક્ષણનો જ એક અતિ સંવેદનશીલ ભાગ છે. આ પરિશ્રમનું મહત્વ આજે મેકોલેબ્રાન્ડ શિક્ષણમાં ભુંસાઈ ગયું છે. વાલીઓ ગેરમાર્ગે દોરવાઈ ગયા છે.
પત્રકાર મિત્રો શિક્ષણ જગતને તમારાં સાથ સહયોગની ખૂબ જરૂર છે. તમે ચોથી મહા સતા છો. તમારાં થકી સાચી દિશા પકડી શકાય તેમ છે.   
સહિયારા પરિશ્રમના કારણે પ્યારાં માનસિંહદાદાનું શૈક્ષણિક સંકુલ-આશ્રમ પણ ખૂબ પ્યારું લાગે છે. અતિ સ્વચ્છ છે. સુંદર છે. મનભાવન છે.
આ આશ્રમમાં ત્રણેક હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાંથી મોટાભાગની દિકરીઓ છે. B.Ed. પણ છે અને BRS જેવો કોર્સ પણ ચાલે છે. BRS કે MRS થકી જ સ્માર્ટ વિજેલ કે સ્માર્ટ ખેડૂત ઊભા થશે. તેની પૂરી સમજ છે. પૂરતા વિદ્યાર્થીઓ છે. હા, ૫૦-૭૫% ઉપરાંતનો સ્ટાફ નથી. કા કરવું ખૂબ કઠિન બની રહ્યું છે. સરકાર તરફથી ઓક્સીજનને બદલે અંગારવાયુ મળતો રહ્યો. પરંતુ વર્ષો બાદ હમણાં હમણાંથી સરકાર સ્ટાફ ભરવાની મંજૂરીઓ આપી રહી છે તે ઘણી સારી વાત છે.
પ્રવેશ ઉત્સવે અધિકારીઓ અને પદાધિકારીઓનાં દિલમાં ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓ   માટે પૂરી સંવેદના જગાડી છે. ઘણાં સમય પહેલાં આ સહુને આ બાબતે ભારે સૂગ હતી. તેનો હું સાક્ષી છું. આ માનસિક બદલાવ માટે માટે મોદીસહેબને અભિનંદન. જો કે હવે ચીલાચાલુ પ્રવેશ ઉત્સવથી શિક્ષણ જગત થાક્યું છે. તેમાં બદલાવની માંગ ઉઠી છે. હવે અધિકારીઓ અને પદાધિકારીઓને શીખવા મળે તે માટે તેઓને આવી શાળાઓમાં બે દિવસ મોકલવાની જરૂર છે.
ખોટી નીતિનાં કારણે ગુજરાતમાં આઠ નવ હજારમાંથી માત્ર બસોએક આવી શાળા બચવા પામી હશે. આવી સંસ્થાઓને સરકાર અને સમાજનાં સહયોગની તાતી જરૂરત છે.
મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને પણ આવી શાળાઓથી અવગત કરાવવાની તાતી જરૂર છે. પછી તે મસ્ત અદા અને મસ્ત અવાજમાં કહેશે કે --- યે ગુજરાતકી ખુશ્બુ હૈ. દો દિન તો બીતાઓ ગુજરાતમે!
થવા આશ્રમની પ્રભાતફેરીનો નાદ હજુ ગાજી રહ્યો છે,-- જાગો રે જાગો, સવાર પડી. આપણે ક્યારે જાગીશું?
  

28 May 2016

સ્વાયતતા : શિક્ષણને ગતિશીલ બનાવવાનો રાજમાર્ગ

માન. આનંદીબેન પટેલ સાહેબ

માન. મુખ્ય મંત્રીશ્રી - ગુજરાત 

 

નમસ્કાર.

આજનાં શિક્ષણથી આપણે સહુ વેદના અનુભવી રહ્યાં છીએ. આ વેદનામાંથી છૂટવાનો અને શિક્ષણને સફળતાના રાજમાર્ગે લઇ જવાનાં એક માર્ગ વિશે જણાવવું છે.


દેશ પરદેશના શિક્ષણનો અભ્યાસ અને ૪૫ વર્ષનો શિક્ષણ સાથેનો અનુભવ પછી જે સમજાયું તે આપશ્રીની  સમક્ષ મૂકી રહ્યો છું.


શિક્ષણને ગતિશીલ બનાવવાનો રાજમાર્ગ છે સ્વાયતતા


આપશ્રીને એટલી જ વિનંતી છે કે ...


સ્વાયતતા માટે માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને માત્રને માત્ર શિક્ષણશાસ્ત્રીઓની એક કમિટી નીમવામાં આવે.


સ્વાયત સંસ્થાઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત પાસે આજે પણ હજુ પણ કેટલાંક તટસ્થ શિક્ષણશાસ્ત્રીઓ છે. તે ગુજરાતનું સદ્દભાગ્ય છે.


પ્રાયોગિક ધોરણે આ કમિટી નક્કી કરે તે શરતે અને તેવી >>>

·        ૧૦ %  પ્રાથમિક શાળાને સ્વાયતતા આપવામાં આવે.

·        ૧૦ %  માધ્યમિક શાળાને સ્વાયતતા સ્વાયતતા આપવામાં આવે.

 

આઝાદીના સમયે ગુજરાતની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રાષ્ટ્રીયકક્ષા સુધી નામાંકિત હતી, તેની પાછળનું ખરું રહસ્ય તેની સ્વાયત્તામાં છૂપાયેલું હતું. સ્વાયતતા એ શિક્ષણનો આધારસ્તંભ છે. આજે સ્વાયતત્તા વિનાની આ જ સંસ્થાઓ કેવી બની ગઈ છે, તેનાથી આપશ્રી સારી રીતે વાકેફ છો.


પરદેશમાં સ્વાયતતાનાં કારણે જ શૈક્ષણિક સંસ્થાઓ સફળ બની રહી છે.


GCERT – ગાંધીનગરને સ્વાયતત્તા અપાયા પછી જ તે આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રાપ્ત કરી શકી છે.

ગુજરાતને ગતિશીલ બનાવવા માટે શિક્ષણને ગતિશીલ બનાવવું જ રહ્યું. તે માટે શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયતતા આપવી એ આજનાં સમયની માંગ છે.

મને શ્રદ્ધા છે.


આપનો વિશ્વાસુ

નલિન પંડિત

નકલ સાદર રજૂ.

માન. શિક્ષણ મંત્રીશ્રી

માન. શિક્ષણ મંત્રીશ્રી -  રાજ્ય

માન. સચિવ શ્રી શિક્ષણ

08 April 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૯

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

અમેરિકામાં તાશી સાથે રમવા વીસેક દિવસ રહ્યો. આ દિવસો ખૂબ આનંદમાં પસાર થયાં. અમેરિકાથી પરત વિમાની મુસાફરી દરમિયાન પ્રથમવાર વાદળોમાં થતાં વીજળીના ગોળાઓને ઉપરથી પૂર્ણ રીતે જોયા.
વિમાનમાં એક જાણીતા ફિલ્મી કલાકાર પણ હતાં. એના પરથી વિચાર આવ્યો કે જો અમિતાભ કે આમીરખાન સાચું શિક્ષણ કોને કહેવાય તેવી જાહેરાતમાં આવે તો કેવું સારું. એવી જ રીતે, આ કલાકારો ખાદીના વિવિધ ડ્રેસની જાહેરાતમાં આવે તો કેવું સારું!
આપણા ગરમ દેશ અને રાજ્ય માટે કોટન અને ખાદી ઉત્તમ છે. ઠંડા પ્રદેશ માટે ટાઈ કોટ એકદમ બરાબર છે, વૈજ્ઞાનિક છે. પરંતુ આપણે તો હજુ પણ માનસિક રીતે ગુલામ જ છીએ તે ગરમીમાં પણ ટાઈ કોટ પહેરીએ છીએ. શાળામાં ટાઈ કોટ પહેરેલા વિદ્યાર્થીઓને જોઈને સંચાલકોની પૂછવાનું મન થાય છે કે એલા ભાઈ તમે પોતે કેમ  ટાઈ કોટ નથી પહેરતા?
નામદાર હાઇકોર્ટે પણ હવે ઉનાળામાં વકીલોને ટાઈ પહેરવામાંથી મુક્તિ આપી છે. હવે તો ઉચ્ચ અધિકારીઓમાં પણ સમજદારી વધી દેખાય છે! ગુલામી માનસમાંથી બહાર આવતાં દેખાય રહ્યાં છે. સામાન્ય રીતે હવે તેઓ ટાઈ કોટ પહેરતા નથી. બાળકોને ટાઈ કોટમાંથી મુક્તિ અપાવવાનું સરકારને કેમ સુઝતું નહિ હોય? કે પછી કોર્ટના આદેશની રાહમાં હશે?
ખાદીમાં સાચો દેશ પ્રેમ છે. ખાદીમાં જ ભાજપનાં ચુંટણી ઢંઢેરા પૈકીનો 'સ્વદેશી'નો સાદ છે. અહીં ગાંધીબાપુ યાદ આવી જાય. તેનો રેંટિયો અને ચરખો યાદ આવી જાય. ખાદી પહેરીએ એટલે એક કુટુંબને રોજગારીમાં મળે. ગરીબો બેઠા થાય. ગામડું બેઠું થાય, દેશ બેઠો થાય. ગાંધીજીનું આ અદ્દભૂત ગણિત મારાં ધ્યાનમાં બહું વર્ષો પાછી આવેલું.
થોડા દિવસ પહેલાં સમાચાર મળ્યાં કે સ્વ. ઇન્દીરા ગાંધી અને માન.શ્રી મોદીસાહેબનાં શિક્ષણ સલાહકાર ડૉ. કિરીટભાઈ જોષી કે  જેમને અમે પ્રેમથી કિરીટદાદા કહેતા તે ઋષિ પુરુષનું પોંડીચેરીમાં અવસાન થયું. તેઓ મહર્ષિ અરવિંદજી અને માતાજીના પરમ ભક્ત હતાં.
દાદાજીને એક વખત મળો એટલે તેઓની ઓરામાં ભીંજાવું જ રહ્યું. દાદાજીની ગુજરાતમાં આવ્યાં તે પછી તેઓની સાથે થોડી પળો ગુજારવાનું સદ્દનસીબ પ્રાપ્ત થયેલું. તેઓ જયારે ચિલ્ડ્રન યુનિવર્સિટી અંગેનો ડ્રાફ્ટ બનાવી રહ્યાં હતાં ત્યારે તે અંગે થોડીઘણી ચર્ચા કરવાનો અવસર મળેલો. દીર્ઘદ્રષ્ટા દાદાજી રૂરલ યુનિવર્સિટી બનાવવાનાં પણ આગ્રહી હતાં.
દાદાજી, આ ગુજરાત આપને સમજવામાં ઉણું ઉતર્યું તેમ માનું છું. આપ ગુજરાતમાં બહું થોડું રહ્યાં પણ ખૂબ આપી ગયાં. દાદાજી, આપ અમને સદાય યાદ આવશો. આપનાં માટે તો અમે શું પ્રાર્થના કરીએ? તેમ છતાં દિલના ઊંડાણથી કોટી કોટિ વંદન કરું છું. પ્રભુને પ્રાર્થના તો કર્યા વિના કેમ રહી શકીએ? આપ જ્યાં હશો ત્યાંથી અમને માર્ગ બતાવતા રહેજો. શું ગુજરાત આપની સલાહને સમજી શક્યું નહિ તેથી આપે પોંડીચેરીની દિશા પકડી હતી? જો આ સાચું હોય તો દાદાજી અમને માફ કરજો.
જેઓની રગેરગમાં પરીક્ષા અને સ્પર્ધા વ્યાપી ગયેલાં છે અને જેઓને શૌચાલયમાં અને સ્વપ્નાઓમાં પણ પરીક્ષા પરીક્ષા અને પરીક્ષા, સ્પર્ધા સ્પર્ધા અને સ્પર્ધા જ આવે છે, તેવા ઉચ્ચ અધિકારીઓ પણ દાદાજી પાસે 'પરીક્ષા' નામનો શબ્દ પણ બોલવાની હિમંત નહોતા કરી શકતાં. પરીક્ષા કેવી યુદ્ધખોર છે તે દાદાજી આ અધિકારીઓને બરાબર સમજાવી શકેલા. આવાં એક પ્રસંગનો હું સાક્ષી છું.
પણ હવે તો દાદાજીએ પણ વિદાય લીધી અને ઉચ્ચ અધિકારીઓ પણ બદલાઈ ગયાં. પાછાં ઠેરના ઠેર. વળી પાછું મેકોલે અને આપઘાતયું શિક્ષણ. શું આપ કઈ કરી શકો તેમ છો? કે આરામ કરીશું? કે પછી રામ બોલીશું?

01 April 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૮

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

ભારતની જેમ અમેરિકામાં પણ ઉત્સવો જોવા મળે છે. ન્યૂ જર્સીમાં અમારાં ઘરની બાજુમાં અમેરિકામાં વસતા કરેબીયનોનો એક ઉત્સવ યોજાયેલો. તે માણવાની મજા પડી. નાચગાનથી ભરપૂર કાર્યક્રમ. સ્ટેજ ઉપરથી ગીતો ચાલે અને સમગ્ર ઓડિયન્સ પોતપોતાની જગ્યાએ ડાન્સમાં જોડાય. કરેબીયનો પૂરી મસ્તીથી નાચતા કરેબીયનોને જોવા તે અદભુત લ્હાવો છે. જેમાં હાકલા પડકાર પણ થાય. આપણી જેમ જ ત્યાં પણ ખાણીપીણી અને કરેબીયનોને ગમતા સોંદર્ય પ્રસાધનોનાં સ્ટોલ નાખેલા જોયા.
આ ઉત્સવમાં કઈક તોફાન થયું. બેચાર મિનિટમાં તો પોલીસની દશ બાર ગાડીઓ આવી ગઈ. ચારે બાજુ સાયરન વાગે. મહિલા પોલીસ પણ પૂરતા પ્રમાણમાં આવી. પોલીસે જરા પણ વિલંબ વિના સમગ્ર સ્થિતિને કાબુમાં લઇ લીધી. આ છે અમેરિકા. કાયદો કાયદાનું કામ કરે જ. કાયદો બધાં માટે સમાન છે તે આપણે જોઈ શકીએ.
હડસન નદીની આપને યાદ આપું. બેક વર્ષ પહેલાં અહી એક પ્લેનમાં ખામી ઊભી થતાં તેના પાયલોટે પ્લેનને હડસન નદીમાં જ ઉતારી દીધું. સહુ કોઈને બચાવી લીધેલાં. કટોકટીમાં અહીં રસ્તા ઉપર પ્લેન ઉતારી દીધાના પણ કિસ્સાઓ છે. સારું છે કે આપણા અહીનાં રસ્તાઓની આવી કસોટી થતી નથી. નહિ તો...!!


(Photograph by Greg L - Licensed under CC BY 2.0)


અમેરિકામાં મોટરસાયકલ ચાલકોની એક અલગ દુનિયા છે. મોટીમસ અને ભારેખમ મોટરસાયકલો. કાન ફાડી નાખે તેવો અવાજ. સ્પીડમાં પણ જબરી. ગમે તેવાં વાહનોને પાછળ રાખી દે. આવી બાઇક હવે ભારતમાં પણ મળવા લાગી છે.
અમેરિકામાં કાયદાના શાસનને કારણે અકસ્માતોની ટકાવારી નહીવત છે. પણ ભારતમાં ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કરવામાં કોઈને શરમ નથી આવતી. તેમાં પણ સતાધારી કે પૈસાદારના સંતાનો  કાળોકેર વર્તાવવાનો પરવાનો ધરાવતા હોય તેમ વાહનો હંકારે છે.
મુંબઈમાં રહેતો નાનો દિકરો વૈભવ બાઇક ચલાવવાનો બહું શોખીન છે. તે લેહ લડાખ પણ બાઇક ઉપર ફરેલો. તેની એક મિત્ર પણ બાઇકની ભારે શોખીન. તે પુના હાઇવે ઉપર બાઈક ઉપર જતી હતી અને અકસ્માતમાં મૃત્યુ પામી. એક બહાદુર અને સાહ્સીય દિકરીને આપણે ગુમાવી. ભારતમાં તો આવા તો રોજે કેટલાંયે જીવો જાય છે.
મને યાદ છે GCERT દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ રાજ્ય વિજ્ઞાનમેળામાં વિદ્યાર્થીઓએ રોડ ઉપરથી પસાર થતાં દરેક વાહનની આગળ પાછળ રીફ્લેકટર લગાવી દેવાનું અભિયાન ચલાવેલું. જો દરેક શાળા પોતાનાં સ્ટાફનાં અને વિધાર્થીઓનાં વાહનો માટે આવું અભિયાન ચલાવે તો કેવું સારું! શાળાનાં બાળકો પણ આનું અનુકરણ કરશે અને કેટલાયની જિંદગી બચી જશે. વિદ્યાર્થીઓને તો આવું કરવું બહું જ ગમે. આ દ્વારા તે ટ્રાફિકના નિયમો અને શિસ્ત પણ સમજતો થઇ જશે. પણ અભ્યાસક્રમમાં નથી, એટલે કેમ કરાવવું? જો હોય તો પણ ગોખવા માટે હોય. ગોખીને સ્પર્ધા કરવાં માટે હોય. કઈ સમજવા માટે કે અમલ કરવાં માટે થોડું હોય? આ છે આપણું બેહાલ શિક્ષણ.
અમેરિકામાં કરોડપતિઓનો કોઈ પાર નથી. આ અમીરો ઘરની હોડીઓ રાખે. વધુ અમીર પોતાનું પ્લેન પણ રાખે. નવરાશે હોડી અને પ્લેનની મોજ માણે.
ગુજરાતનાં અમીરો હવે ફાર્મહાઉસ બાજુ વળ્યા છે. આ શુભ નિશાની છે. આ કારણે તેઓ પ્રકૃતિની વચ્ચે રહેશે. શુદ્ધ હવા પામશે. ઝેરી પર્યાવરણથી બચશે. પણ બાકીનાનું શું? જેમ જેમ ઉદ્યોગો વધશે તેમ તેમ મોત બેઠું થવાનું છે. કુટીર ઉદ્યોગ આવકાર્ય છે. તેનાથી પર્યાવરણ તો બચે પણ સાથોસાથ ગામડું પણ બેઠું થાય. જોઈએ ગુજરાતનું શું થાય છે?
અમેરિકા મોટાભાગની તૈયાર વસ્તુઓનું પરદેશથી આયાત કરે છે. આવું કેમ? અમેરિકા બહું બુદ્ધિશાળી દેશ છે. તે પોતાનું પર્યાવરણ સારું રાખવા માંગે છે. પોતે કઈક ઉત્પાદિત કરે તો પોતાનું પર્યાવરણ બગડેને? બધું પરદેશથી મંગાવી લેવાનું. આથી નહિ કચરો, નહિ ધૂમાડો, નહિ ધરતીનો બગાડ, નહિ પાણીનો બગાડ. પર્યાવરણને શુદ્ધ બનાવી રાખવામાં અમેરિકા જે સફ્ળ રહ્યું છે તેનું આ પણ એક રહસ્ય છે.
હવે ગુજરાતમાં ઉદ્યોગની અને જમીનની નવી નીતિને કારણે અમેરિકા, ચીન કે અન્ય દેશોને ઉદ્યોગ સ્થાપવાની મજા પડી જશે. ગુજરાત સાબરમતીને પણ શુદ્ધ રાખી શકતું નથી. વટામણથી વડોદરા કોસ્ટલ હાઇવે ઉપરથી પસાર થઈએ ત્યારે કેમિકલથી ભરેલી સાબરમતી જોઈને ભારે દુઃખ થાય છે. ભારત પવિત્ર ગંગાને પણ શુદ્ધ રાખી શક્યું નથી. સુપ્રીમ કોર્ટ ભારે ખફા છે. ગુજરાત પણ અંકલેશ્વર વાપી કે વલસાડપટ્ટીનાં ઉદ્યોગોથી બગડેલા પર્યાવરણમાંથી બચી શક્યું નથી. ત્યારે હવે મુખ્ય પ્રશ્ન પર્યાવરણ બચાવવાનો છે. પર્યાવરણ બચાવી નહિ શકીએ તો ભાવી પેઢી આપણને કદીયે માફ નહિ કરે.
અમેરિકામાં ઘરની સામે જ ચર્ચ છે. ખૂબ મોટું અને સુંદર. તેનો મીઠો ઘંટારવ સંભળાય. રવિવારે ચર્ચમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયનો આવે. બધે જ નીરવ શાંતિ. મને પણ જવાનું મન થાય. પણ જઈ શકેલો નહિ.
હા, એક વખત પ્રવાસમાં દિવ અને ગોવાનાં ચર્ચ જોયેલા. ત્યાં પ્રાર્થનામાં પણ જોડાયેલો. ઘોઘા તાલુકામાં વાલેસપુર કરીને એક માત્ર ક્રિશ્ચિયનોનું ગામ છે . આ ગામે હું જયારે પ્રોઢશિક્ષણમાં હતો એ સમયે પ્રોઢશિક્ષણનાં વર્ગો શરૂ કરેલાં. મને ઈસુનો પ્રેમ બહું ગમે. મને કલકતામાં દીનદુઃખીયાવો સેવામાં સમર્પિત હતાં તે મધર ટેરેસા બહું ગમે.
આચાર્ય વિનોબાજીને વાંચું ત્યારે આ ધર્મ પ્રત્યે વિશેષ પ્રેમ જાગે છે. વિનોબાજીએ તો કુરાન અને બાયબલનું સાત સાત વાર પારાયણ કરેલું. ઈશુ તો સહુને પ્રેમ કરવાનું કહે છે પણ કોણ જાણે કેમ ધર્મપરિવર્તનમાં પાગલ બનેલાં કોઈક ક્રિશ્ચિયનો, ફાધર કે નનને જોઉ છું ત્યારે મનમાં ખૂબ ધૃણા ઉદભવે છે. આવાં લોકો વિના સમજે પોતાનાં પગ ઉપર કૂહાડો મારી રહ્યાં છે. બાઈબલમાં કોઈ જગ્યાએ ધર્મ પરિવર્તન કરાવવાનું લખેલું નથી. ખોટા અર્થઘટન શું કામના? ગાંધીજીએ ધર્મપરિવર્તન કરાવનારાઓને બહું કડવા વેણ કીધા છે.
ન્યૂયોર્ક શહેર ખરેખર તો મેનહટન ટાપુ છે. આ ટાપુના પાંચ ભાગ છે. જેમનો એક ભાગ તે ન્યૂયોર્ક શહેર. બીજા ચાર ભાગ એટલે બ્રુકલીન, ક્વીન્સ, બ્રોન્ક્સ અને સ્ટેટન આઈલેન્ડ.
ન્યૂયોર્ક સિટીનાં આ બાજુ જેમ હડસન નદી છે એમ બીજી બાજુ ઇસ્ટ રીવર છે. ઇસ્ટ રીવર  ઉપર બે મોટા બ્રીજ છે. એકનું નામ બ્રુકલીન બ્રીજ, અને બીજાનું નામ મેનહટન બ્રીજ છે. બ્રુકલીન બ્રીજ પરથી મુખ્ય માળ પરથી વાહનો પસાર થાય, અને વચ્ચે લોકોને ચાલવા તથા સાયકલ ચલાવવાનો અલગથી રસ્તો છે.
મેનહટન બ્રીજ ઉપર ટ્રેઈન અને મોટરગાડીઓ માટે અલગ રસ્તાઓ! આ બ્રીજની  નીચેથી પસાર થતી સ્ટીમરો જોવાની બહું મજા આવી. આસપાસનાં વિસ્તારનાં અલાયદી ડીઝાઈનનાં રહેણાંક બિલ્ડીંગ   જોવા જેવાં છે. હા, અહીં મને થોડા ખરાબ રસ્તાનો પણ અનુભવ થયો!


આ બ્રીજ સને 1887માં બનેલો છે. સવાસો વરસથી વધુ જુનો બ્રીજ. આજે પણ સારો! આ અમેરિકા છે. ભારત પણ આવું બની શકે.
જૂઓને ગોંડલ નરેશ ભગવતસિંહજી બાપુનાં વખતમાં રોડ માટે 20 વરસની અને પુલ કે નાળા માટે 100 વર્ષની ગેરંટી લેવામાં આવતી. એ પૈકીના કેટલાયે રસ્તા, નાળા અને પુલ આજે પણ યથાવત છે. એટલું જ નહી, આજે પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. ભાવનગર રાજ્યમાં કે વડોદરા ગાયકવાડી રાજ્યનાં બાંધકામો આજે પણ પોલાદી અવસ્થામાં મોજુદ છે.
દિકરો અને પુત્રવધૂ અમારી જેમ વાંચનના ગજબના શોખીન છે. દિકરો એક દિવસ મેનહટનની એકદમ વચ્ચેના ભાગમાં આવેલી ન્યૂયોર્કની ખ્યાતનામ પબ્લિક લાયબ્રેરી જોવા લઇ ગયો. આ લાયબ્રેરી જોવા બહારથી ખૂબ પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ લઈને ભાતભાતની બસોની સતત આવનજાવન રહે છે.
એક વખતના તળાવના ખરાબાની જગ્યામાં સને 1911માં ઊભી થયેલી આ લાઇબ્રેરી બહુ વિશાળ છે. પાંચેક માળની આ લાયબ્રેરીમાં દશ જેટલી સબ બ્રાંચ છે. 43 જેટલાં વિભાગો છે. સંશોધનકારો માટે અત્યંત આધુનિક સુવિધાઓ છે. તેઓ માટે ઓડીઓ વિડિઓ અને ફિલ્મોની પણ સુવિધાઓ છે. સહુથી ઉપરના માળ પર એક વિશાળ રૂમ જે વાંચવા માટે છે. લાઇબ્રેરીની પાછળના ભાગમાં મોટો બગીચો. ઉપર બગીચો અને નીચે લાયબ્રેરી. એક આખેઆખો ગ્રાઉન્ડ ફ્લોર બાળકોની લાઇબ્રેરી માટે! યાદ રહે કે બાળકો માટે ગ્રાઉન્ડ ફ્લોર રાખવામાં આવ્યો છે.


Rose Research Room - New York Public Library
( Photo by DAVID ILIFF. License: CC-BY-SA 3.0 )


બાળકોની લાઇબ્રેરીમાં 1787નાં સમયની પોકેટ બુક મોજુદ છે. 1963નાં સમયના શિક્ષણને લગતા સુત્રો અને વિચારો, અંગ્રેજીભાષાનાં સ્વરની મજા કરાવતા ડોલતા અને બોલતાં રમકડા, અમર ચિત્રકથા, વિષ્ણુ અવતારના ચિત્રો અને તેની કથા, સંતોમહંતોના ચિત્રો અને તેની વાતો, હમ્ટી-દમ્ટી, જૂની બાલ ફિલ્મો, લાકડાની અદ્દભૂત કોતરણીવાળી રંગબેરંગી છત, રજવાડામાં જોવા મળે તે કક્ષાનાં બાળચિત્રો, રમકડાં, અને લાઈબ્રેરીને બતાવવા તથા સમજાવવા માટે ગાઈડ. માત્ર નજર નાંખી એટલામાં  જ અમારાં ત્રણેક કલાક પસાર થઇ ગયાં.
મે મારાં Ph.D.નાં અભ્યાસ માટે ભાવનગર યુનિવર્સિટીનાં શિક્ષણ ભવનની લાઈબ્રેરી, વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની લાઈબ્રેરી, વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની લાઈબ્રેરીની તથા  ગુજરાત વિદ્યાપીઠની લાઈબ્રેરી મુલાકાત લીધી છે. પરંતુ ન્યુયોર્કની પબ્લિક લાઈબ્રેરી જોયા પછી પૂર્ણ લાઈબ્રેરી અને તેમાં પણ બાળકોની લાઈબ્રેરી કોને કહેવાય તે પ્રથમવાર સમજાયું.
મને અમદાવાદનાં ટાઉનહોલ પાસે આવેલી એમ. જે. લાઈબ્રેરી અને તેના હોનહાર લાઈબ્રેરિયન શ્રી છગન ભૈયા યાદ આવી ગયાં. તેઓનો પરિચય હું જયારે રાજ્ય પરીક્ષા બોર્ડમાં સેક્રેટરી તરીકે હતો ત્યારે થયેલો. અત્યંત મૃદુભાષી, જ્ઞાની અને વિવેકી. જેને મળવા સતત મન તલશે તેવાં માનવી. ધૂની પણ એવા જ! હતાં તો માત્ર લાઇબ્રેરીના પટ્ટાવાળા, પણ પોતાની આવડત થકી ગુજરાતની એક ઉત્તમ લાઇબ્રેરીના ડિરેક્ટર બન્યાં. પટાવાળા હતાં ત્યારે ધૂળ ચઢેલાં પુસ્તકોને ફરી ગોઠવવાની ધગશ ચડી. તેમાંથી તેમણે પુસ્તક વર્ગીકરણની એક આગવી પદ્ધતિ શોધી જે આજે લાઈબ્રેરિયનનાં કોર્સમાં ‘છગન ભૈયા પદ્ધતિ’ નામે ભણવવામાં આવે છે. અમદાવાદનાં આ પુસ્તકાલયમાં દર અઠવાડિયે સાહીત્યકારોની બેઠક મળે. તેઓ મને લાઇબ્રેરીના ભોયરામાં લઇ ગયેલાં જ્યાં અત્યંત સુરક્ષિત રીતે રાખેલ કેટલાંયે અલભ્ય પુસ્તકો જોયા. કેટલાક તો સોનાની છાંટવાળા. તેઓએ તે દિવસોમાં અમદાવાદમાં ફરતું પુસ્તકાલય પણ શરૂ કરેલું.
ગુજરાતને એક નમુનેદાર બાળ લાઇબ્રેરી મળે તે માટે ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં ચિંતકોએ ન્યુયોર્કની પબ્લિક લાઈબ્રેરીનો અભ્યાસ કરવાં જેવો છે.
ન્યૂયોર્કની આ લાઈબ્રેરીની પાછળ મજાનો બગીચો છે જેને બ્રાયન્ટ પાર્ક કહે છે. અહીં ખાણીપીણીની  સારી સુવિધા છે. બગીચામાં ફિલ્મ બતાવવા માટે એક મોટો પડદો છે. ઉનાળામાં દર અઠવાડિયે અહીં ફિલ્મ બતાવવામાં આવે છે. ઉનાળામાં સંગીત અને ખાસ તો પિયાનોના જાહેર જનતા માટે પ્રોગ્રામ થાય, અનેરું સંગીત પીરસાય. અને પાછુ સપ્તાહના એક દિવસે તો યોગાસનો પણ શીખવાડવામાં આવે. જેને જોડાવું હોય એને છૂટ. કોઈ ફી નહિ. 500 થી 1000  કાળિયા, ધોળિયા, ભારતીયો અને બીજા ભાતભાતના લોકો આનો લાભ લ્યે!
બ્રાયન્ટ પાર્કની સામે જ દિકરાની ઓફીસ છે. તે ઓફીસ પણ જોઈ. તેની આધુનિકતા સ્પર્શી ગઈ. ઓફીસમાં કામ કરતાં સહુ વચ્ચે ભાઈચારાની ભાવના જોઈ ખૂબ આનંદ થયો.
ન્યુયોર્ક સમગ્ર શહેરમાં સાયકલ ઉપર ફરવાં માટે એક કમ્પની દ્વારા એક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. આ કમ્પનીની સાયકલ શહેરનાં અનેક ભાગમાંથી મળે. કોઈપણ જગ્યાએથી તમે સાયકલ લઇ શકો. બધી સાયકલો સ્ટેન્ડમાં લોક હોય. તમારે માત્ર બેંક કાર્ડ નાખવાનું. કાર્ડ નાખો એટલે ભાડાની રકમ પેટે લેવાની થતી રકમ આપોઆપ વસુલ થઇ જાય. સાયકલ સ્ટેન્ડમાંથી લોક ખૂલી જાય. સાયકલ ઉપર ફરી તમે શહેરનાં કોઈપણ ભાગમાં સાયકલ જમા કરાવી શકો. સાયકલ જમા કરાવવી એટલે સાયકલને જાતે સ્ટેન્ડનામાં ભરાવી દેવાની. તે આપોઆપ લોક થઇ જાય. સમગ્ર કામમાં ક્યાંયે કોઈ કરતાં કોઈ માણસ ના હોય.
વરસો પહેલાં મોટો દિકરો જયારે બેંગ્લોરમાં ઈન્ફોસીસ કંપનીમાં જોડાયેલો ત્યારે અમે તેનું કેમ્પસ જોવા ગયેલાં. ખૂબ મોટું અને સુંદર કેમ્પસ. આ કેમ્પસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાયકલો રાખેલી. બધી જગ્યાએ છત્રી રાખેલી. જરૂર મુજબ બધું જ જાતે લેવાનું અને જાતે મુકવાનું, ખૂબ ગમેલું.
હમણાં સાંભળ્યું હતું કે અમદાવાદમાં BRTSનાં બસ સ્ટેન્ડ ઉપર આવો પ્રયોગ કરવામાં આવેલો. આપણે વહેલી તકે આ દિશામાં વિચારવું પડશે.
અહીં વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક નામે એક ખૂબ જાણીતો બગીચો છે, તેની પણ મજા માણી. ચારેબાજુ સંગીતની ટુકડીઓ સંગીતના સૂર રેલાવે. સહુ પોતપોતાની મોજમાં સંગીત વગાડે. પસાર થતાં સહુ કોઈ પણ સંગીતની મોજ લૂંટે. અહીં એક માણસ તેનાં બન્ને હાથમાં પક્ષીઓ માટેનું ચણ રાખીને ઉભેલો. તેનાં હાથ ખભા અને માથા એમ ચારેબાજુ કબૂતરો, ચકલા અને ખીસકોલા ચણ ચણતાં હતાં. પક્ષીઓને આવી રીતે નિર્ભીક બની ચણતાં જોઈ અપાર આનંદ માણ્યો. વચ્ચે ફુવારો પણ ખરો, જેમાં ઉનાળાની ગરમીમાં નાના ભૂલકાઓ પાણીની મજા લુટે.
વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક
મને આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતી 'અક્ષય પાત્ર' નામની દાદુ યોજના યાદ આવી ગઈ. શાળામાં રોજ એક વર્ગના બાળકો એક મુઠ્ઠી કે બાકસનાં ખોખામાં સમાય તેટલું ચણ લાવે અને શાળા પ્રાંગણમાં નાખે. કબૂતરો, ચકલા, પોપટ, લેલા, ખીસકોલા સહુ આવે અને સાથે રહીને ચણે. આ શિક્ષણ માનવતાને વાવી રહ્યું છે. આ યોજના થકી શાળાનાં બાળકો આનંદ મેળવે, જીવદયાને પામે, મુલ્ય શિક્ષણ પામે, સંસ્કૃતિનું જતન શીખે, પર્યાવરણનું જતન શીખે, અહિંસાના પાઠ શીખે. અને તે પણ હોંશે હોંશે. આને કહેવાય ભણતર. આને કહેવું ભાર વિનાનું ભણતર. આને કહેવાય હૃદયનું શિક્ષણ. આ બધું મોટા મોટા અધિકારીઓ, શિક્ષણનાં નીતિધારકો, કેટલાયે લેખકોની સમજ બહારનું છે. તેનું જ દુઃખ છે. તેની જ વેદના છે. આ લોકોને તો ટકાવારી અને સ્પર્ધા સીવાય બીજું કઈ દેખાતું જ નથી.
વોશિંગ્ટન પાર્કની જગ્યાએ વરસો પહેલા અહીના મૂળ વતની એવા રેડ ઇન્ડિયનો વસતાં હતાં. ડચ (વલંદા) લોકોએ એમના પર ચડાઈ કરી. તેમને મારી ભગાડીને અહી ખેતીવાડી કરી. એના અમુક સમય પછી આ જગાનો મૃતદેહો દફનાવવા માટે પણ ઉપયોગ થવા લાગેલો. 20,000 જેટલાં મૃતદેહ અહીં દફનાવાયાં હશે એવું એક અનુમાન છે. સમય કેવો બળવાન છે? આજે અહીં લોકો હરે રામા હરે ક્રિષ્ણાની ધૂન લઇ રહ્યાં છે.
1889માં આ પાર્ક બન્યો. તેના કલાત્મક દરવાજા ઉપર લખેલું છે કે "આપને એવું કરીએ કે જેથી સારા અને સનિષ્ઠ માણસો દુરુસ્ત થાય."  અહીં ફટાફટ સરસ મજાની રંગોળી કાઢનારાં કલાકારો પણ છે અને અહીં સરસ મજાના મકાઈના ડોડા પણ મળે છે. આપણને ગુજરાતીઓને બસ ખાવાનું મળે એટલે મજા જ મજા.
અમેરિકાની યુનિવર્સિટીઓની વિશેષતા એ છે કે તે કોઈને કોઈ ક્ષેત્રમાં કે વિષયમાં નિપુણતા ધરાવતી હોય. છે. અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો સાથે કે સંશોધન કરતી પ્રયોગશાળાઓ સાથે સીધી રીતે જોડાઈને સંશોધનો કાર્યમાં જોડાય છે. અહીં નકામું શિક્ષણ નથી. માટે તો અમેરિકાની યુનિવર્સિટીઓનું આગવું નામ છે.
જર્સી સિટીના ઘરમાં તાશી સાથે મજા. દિકરા અને પુત્રવધુ સાથે મજા. દિકરાનાં અદ્યતન લેપટોપ દ્વારા નવુંનવું શીખવાની મજા. દિકરો મારો ગુરૂ. પસંદગીની ફિલ્મો અને ક્લિપ્સ જોવાની મજા અને સાથોસાથ વાંચવાની પણ મજા.
એક દિવસ જેલમ હાર્દિક દ્વારા અનુવાદિત ‘જેનિનની સવાર’ (Original English Title “Mornings in Jenin” by Susan Abulhawa) નામનું નાનકડું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું.
જેરુસલામ પાસે નાનકડું એવું એક ગામ. નામ એનું જેનિન. ‘જેનિનની સવાર’ એ એક નાનકડી છોકરીની આપવીતી કહેતી અને પોતે જ લખેલી એક સત્ય કહાની છે.
નાનકડી છોકરીના પિતાને દ્રાક્ષ અંજીર બદામ અને ઓલિવની વાડી. પિતા સરસ મજાની વાંસળી વગાડતા. મા ઘર અને સંતાનોને સંભાળ લેતી. તેવામાં લડાઈ થઇ. 1982નાં ઇઝરાયેલ સાથે થયેલાં યુધ્ધની આ કરુણ કહાની છે. પિતા બોમ્બમારામાં માર્યા ગયાં. મા ગાંડી અને જડ બની ગઈ. મરી ગઈ. નાનાભાઈને સૈનિકો ઉપાડી ગયાં.
સૈનિકોના આક્રમણ વખતે ત્રણ અસહાય નાનકડી છોકરીઓ અંધારા ભોયરામાં પુરાઈ રહી. ત્યાં એક બોમ્બ પડ્યો. એક છોકરીનું મોત થયું. બીજી છોકરીને બંદૂકની ગોળી વાગી. કમર પાસેથી માંસનો લોચો નીકળી ગયો.
બચી જવા પામેલો ભાઈ યાસેર અરાફતના સંગઠનમાં જોડાઈ ગયો. અપંગ દિકરી અનાથાશ્રમમાં દાખલ થઇ. અનાથાશ્રમમાં એક શાળા હતી.
આ યુધ્ધમાં 17,000 થી વધુ લોકો મરાયા. 40,000 જેટલાં ઘવાયાં. પાંચ લાખ લોકો બેકાર થયાં. દુશ્મન સૈનિકો ગ્રામજનોને પકડતાં અને પુરુષવર્ગને તેઓનાં જ સંતાનો અને સ્ત્રીઓ સામે નગ્ન કરી ઢોરમાર મારતાં. ઇઝરાયેલે આ યુદ્ધને 'શાંતિ મિશન' એવું નામ આપેલું.
હોસ્પિટલો ઉપર બોમ્બમારો થતો. યુધ્ધમાં નાનકડાં બાળકો ભડકે બળતા. બાળકીઓ મૃત અવસ્થામાં માંની છાતીએ ચોંટેલી મળી આવતી. પતિનાં મરણ પાછળ રડતી પત્નીના પેટમાં રહેલું બાળક માને સાંતત્વ આપવાં જોરથી લાત મારતું.
ફાટેલાં કપડાંવાળી, બળાત્કારનો ભોગ બનેલી અને પછી રહેંસી નાખેલી સ્ત્રીઓની ચારેબાજુ ચીસો સંભળાતી. પેટ ચીરીને જેના ગર્ભને રહેંસી નાખેલી હોય તેવી સ્ત્રીઓની પણ ચીસો સંભળાતી. તેઓ ચિત્કારી ઉઠતી અને કહેતી હતી કે નર્કમાં જાય આ બધાં લોકો.
સોળ વરસની છોકરીને લાકડીથી મારી. તેના બે પગ વચ્ચે લાકડી ઘુસાડી દીધી. એક છોકરાને એટલો માર્યો કે કાયમ માટે બોલતો જ બંધ થઇ ગયો. તે મોટો થયો. ચિત્રકાર બન્યો. જિંદગીભર શહીદીના ચિત્રો જ દોર્યા.
'જેનીનની સવાર' એ 1937થી 2002 સુધીનાં આરબ અને યહુદીઓ વચ્ચેના જંગની સત્ય કહાની છે. જેરુસલામ સાથેના કારમાં યુધ્ધની હૃદયદ્રાવક કહાની છે. સમાચારપત્રોએ છુપાવી રાખેલા સત્યોની આ કહાની છે. સૈનિક ઉપાડી ગયા હતાં તે છોકરાની રહસ્મય કહાની છે. અનાથાશ્રમમાં ભણીને આગળ વધેલી છોકરીની આ કહાની છે.
લેખિકા હાલમાં વિશ્વનાં અનેક યુદ્ધગ્રસ્ત દેશોમાં છાવણી નાખીને નિસહાય બાળકો માટે કામ કરી રહી છે. તેણે યુધ્ધની બરબર્તાની અને પોતાની સમગ્ર કહાની www.aprilblossms.com વેબ્સાઈટ ઉપર મૂકી છે.
'જેનીનની સવાર' હું એકી બેઠકે વાંચી ન શક્યો. આ પુસ્તિકા વાંચતા હું અંદરથી હચમચી ઉઠ્યો. યુદ્ધખોર કોઈ દેશ સારો નથી. યુધ્ધની વિનાશકતાએ મારાં મનને દુઃખથી ભરી દીધું.
યુધ્ધની આ અને આવી અનેક કરુણ ઘટનાઓ જ અમેરીકાના WTC ઉપરનાં 9/11 નાં હુમલાઓનું કારણ નહિ હોય ને? શું વિશ્વયુધ્ધના મંડાણ આમ જ થતાં હશે?
યુદ્ધ અને વેરઝેરની વાત આવે એટલે ગાંધીજી યાદ આવી જાય. ભગવાન બુધ્ધ યાદ આવી જાય. ભણવામાં આવતો પેલો પાઠ ફરી યાદ આવી ગયો -
વેર ના સમે વેરથી.
વેર સમે અવેરથી.
ભણવામાં આવો પાઠ લખનાર મુકનારન અને સમીક્ષકને સલામ.
દુનિયાને પ્રેમ અને અહિંસાના માર્ગે ગયાં વિના છૂટકો નથી. પણ સમયાંતરે દુર્યોધ્ધન અને રાવણ જન્મે જ જાય છે તેનું શું કરવું? મદદનાં ઓથા હેઠળ મદદ કરતાં દેશોની મુરાદ પણ બહું ખરાબ હોય છે. તે પહેલાં મદદના બહાને પરાવલંબી બનાવે અને પછી દાદાગીરી કરે. આ દેશોનું શું કરવું? શું ત્રીજું વિશ્વયુદ્ધ નિવારી નહિ જ શકાય?
'જેનીનની સવાર' પુસ્તિકાની લેખિકાને અભિનદન. ‘જેનિનની સવાર’ પુસ્તિકા માટે  'વિચાર વલોણા' મેગેઝીનને સલામ. આ મેગેઝીને આવી તો અનેક ચિંતક પ્રેરક અને વાસ્તવિકતણું દર્શન કરાવતી  પુસ્તિકાઓ આપી છે અને આપી રહી છે.
મિત્રો, આ સામયિક સાથે જોડાવા જેવું છે. 'વિચાર વલોણા' ઉપરાંત કચ્છમાંથી પ્રકાશીત થતા  'શાશ્વત ગાંધી' નામનાં સામયિક સાથે પણ જોડવા જેવું છે. આ બધાં સામયિકો તંદુરસ્ત સમાજનાં ઘડતરમાં સિંહફાળો આપી રહ્યાં છે. ગુજરાતની આ પણ ખરી ખુશ્બુ છે. જરા માણો તો ખરા!
એક નિષ્ઠાવાન પ્રામાણિક, વિચારક અને વિદ્યાભારતી સાથે જોડાયેલાં પ્રોફેસર મિત્રએ કહેલી વાત જાણવા જેવી છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા ગાંધીજીને લગતા એક અભ્યાસક્રમમાં જોડાયેલાં. અહીં તે ગાંધીને વિશેષ સ્વરૂપે સમજ્યા. ત્યારબાદ તેઓની ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધામાં જે વધારો થયો છે તે દાદુ છે.
વિશ્વની અનેક નામાંકિત યુનિવર્સિટીઓની જેમ ચીને પણ હવે ગાંધી વિશે ભણાવવાનું શરૂ કર્યું છે. હવે તો આપણે અહીં પણ મહાત્મા ગાંધી વિશે વાત કરવાનું શરૂ થયું  છે. કોઈક દિવસ તો આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. શ્રદ્ધા રાખીએ.
'વિચાર વલોણા'એ મને આ પહેલાં પણ એક પ્રસંગે ઢંઢોળી નાખેલો. આજનાં મેકોલેબ્રાન્ડ, ઘાતક, ગોખણીયા અને બાળકોમાં રહેલી કુદરતી સર્જકતાને ખતમ કરી નાખતાં શિક્ષણ સામે અમારાં મિત્રોનું 'ભાર વિનાનું ભણતર' કે ‘મેકોલેબ્રાન્ડ શિક્ષણ’ નામે એક અભિયાન ચાલે છે.
આ અભિયાનમાં 'વિચાર વલોણા'માં આવેલો એક લેખ બહું મદદરૂપ બનેલો છે. આ લેખ ભાર વિનાનાં ભણતરમાંથી મુક્તિ કેમ મેળવવી તે માટેનો રસ્તો બતાવી રહ્યો છે.
વિશ્વમાં શિક્ષણક્ષેત્રે જેનો પ્રથમ નંબર છે તે ફિનલેન્ડ દેશનાં શિક્ષણનો આ લેખ છે. સામાન્ય રીતે હું શિક્ષણનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી વાકેફ રહેવા શક્ય કોશિષ કરતો રહું છું. તો પણ હું ફિનલેન્ડનાં શિક્ષણથી સાવ અજાણ હતો. ફિનલેન્ડ કમાલનો દેશ છે. કમાલની તેની શિક્ષણ પ્રથા છે. મેં અમેરિકામાં ફૂરસદના સમયમાં ફિનલેન્ડ દેશના શિક્ષણની જે કઈ હકીકતો જાણી. તે આપને કહેવી છે.
  • લોકશાહી દેશ
  • 100% સાક્ષરતા
  • બધી શાળાઓને 100% ગ્રાન્ટ
  • શિક્ષણ સંસ્થાઓને સ્વાયતતા
  • શ્રેષ્ઠ 10% ગ્રેજ્યુએટમાંથી જ શિક્ષકોની પસંદગી
  • શિક્ષકો માટે એમ.એડ. ફરજીયાત
  • સામાન્ય રીતે 300 વિદ્યાર્થીઓની શાળાઓ
  • સાત વર્ષ પૂર્ણ થયે શાળા પ્રવેશ
  • અભ્યાસક્રમમાં માત્ર ગાઈડ લાઈન્સ
  • પ્રથમ નવ વર્ષ બેઝીક શિક્ષણનો કોર્ષ
  • પરીક્ષા નહિ
  • હોમવર્ક નહિ
  • બાળકો બાળકો વચ્ચે સરખામણી નહિ,
  • સ્પર્ધા નહિ
  • બાલમંદિર માટે એક વર્ષ
  • હોંશિયાર અને ઠોઠ બાળકો બધાં એક જ વર્ગમાં
  • 43 % વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શાળામાં જાય
  • વ્યાવસાયિક અભ્યાસમાં પ્લમ્બિંગ અને કન્સ્ટ્રકશન ઉપર વિશેષ ભાર
  • એપ્લાઈડ સાયંસની 27 યુનિવર્સિટીઓ
  • 75 મિનિટનાં પીરીયડ, 75 મીનીટની રીશેષ
  • શિક્ષક અઠવાડિયે બે કલાક પોતાનાં વ્યાવસાયિક વિકાસ માટે ફાળવે
  • શિક્ષકોનું ડોક્ટર વકીલો જેટલું જ માનપાન
  • બધાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે વાહન સુવિધા
  • પ્રત્યેક વિદ્યાર્થીને વિનામુલ્યે ભોજન
  • પ્રત્યેક વિદ્યાર્થીની વિનામુલ્યે આરોગ્ય જાળવણી
  • પ્રત્યેક વિદ્યાર્થીને વિનામુલ્યે શિક્ષણ સાધનસામગ્રી
  • પ્રત્યેક વિદ્યાર્થીનું વિનામુલ્યે કાઉન્સેલિંગ
આપણને આવું બધું ક્યારે સમજાશે? આપણા રાજ્યમાં શિક્ષણ વિશે અધકચરું સમજતા સંચાલકો, ઉચ્ચ અધિકારીઓ અને નીતિધારકો પણ છે. શિક્ષણનાં કે શૌચાલયનાં 'શ' ની પણ ખબર નથી તેઓનો શિક્ષણમાં અકલ્પ્ય ચંચૂપાત છે.
જુઓ તો ખરા. આપણી તો ચિલ્ડ્રન યુનિવર્સિટી અને શિક્ષક યુનિવર્સિટી પણ સ્વાયત નથી. તો પછી શાળાઓને સ્વાયત્તા મળે તેવાં સ્વપ્ના પણ ક્યાંથી આવે? સ્વાયતત્તા વિનાનું શિક્ષણ બંધિયાર પાણીની જેમ ગંધાય ન ઉઠે તો શું થાય!

એક બાજુ શિક્ષકના ત્રાસથી આપઘાત કરનાર બાળકનાં સમાચાર માત્રથી હચમચી જતો ગુજરાતનો સંવેદનશીલ સમાજ છે. તો બીજી બાજુ સરકારી નીતિને કારણે આપઘાત કરતાં સેંકડો બાળકો માટે લાચારી અનુભવતો પણ આ જ સમાજ છે.