19 January 2016

લેખકોની પરીક્ષા

ભણતર તો ઘડતર માટે છે, આનંદ માટે છે. પરંતુ આજનાં ભણતરને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યાં છે. આ આજનું નગ્ન સત્ય છે. શું આને ભણતર કહી શકાય?


આ આત્મહત્યા માટે માબાપને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. ભલે આ સાચું લાગે, પરંતુ આ અર્ધસત્ય છે –

  • આ આત્મહત્યા માટે જવાબદાર તો આજનાં ઘાતક પુસ્તકો છે, આવાં ઘાતક પુસ્તકોની નીતિ ઘડનારાઓ છે, તેનાં લેખકો છે, તેના સમીક્ષકો છે, અને કેટલાંક સંચાલકો પણ છે.
  • આ આત્મહત્યા માટે વિશેષ જવાબદાર તો 'આ સ્પર્ધાનો યુગ, આ સ્પર્ધાનો યુગ' એવું સતત રટણ કરનારાઓ છે. આ રટણ થકી જ માબાપ ગેરમાર્ગે દોરવાયા છે. આ રટણ થકી જ વિદ્યાર્થીઓ અને માબાપોમાં તણાવ પેદા થયો છે. આ રટણથી જ કેટલાયનાં ઝુપડા મહેલોમાં બદલાયા છે. પરંતુ આત્મહત્યાના નિસાસાથી ઊભા થઇ રહેલાં આ મહેલો સુખ નહિ જ આપે તેમ કર્મની થીયરી કહે છે.

 

આત્મહત્યા નિવારણ માટે કેટલાંક સરળ અને સચોટ ઉપાયો છે.

૧. એક વિજ્ઞાનનાં બદલે બે વિજ્ઞાનનો અમલ શરૂ કરી દો.

૨. એક ગણિતનાં બદલે બે ગણિતનો અમલ શરૂ કરી દો.

૩. બધાં જ વિષયોમાં બે-ત્રણ લેખક/જૂથના બે-ત્રણ પુસ્તકોનો અમલ શરૂ કરી દો.

૪. પુસ્તકોના પાનાની સંખ્યા નક્કી કરી દો.

વર્ષો પહેલાં આ નીતિ અમલમાં હતી. જે શાળાને જે લેખકનું પુસ્તક વાપરવું હોય તેને તે વાપરવાની છૂટ હતી. પરંતુ પૂરતા કારણો હતાં અને સમયની માંગ હતી તેથી આ નીતિ રદ થયેલી.

 

પોતાનાં સંતાનો ઉપર અસહ્ય દબાણ લાવતા માબાપોને અને સમાજને મારે એક કેટલાંક સત્ય જણાવવાં છે.

  • શું તમે જાણો છો કે આજનાં પુસ્તકો કેવા ભદ્રંભદ્ર લખાયા છે? ખુદ શિક્ષકોને આ પુસ્તકો સમજવામાં અને સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે. તમને જણાવું કે જયારે ખુદ શિક્ષકોની પરીક્ષા આ પુસ્તકોના આધારે લેવામાં આવી ત્યારે શું થયું? મહત્તમ શિક્ષકોએ ચોરી કરવી પડેલી!!
  • એક બીજું પણ સત્ય પણ તમને જણાવું - લેખકોએ વિદ્યાર્થીઓની વય જોયા વિના આ અગડમબગડમ થોથા (આને પુસ્તક ન કહેવાય) લખ્યાં છે. આ અણસમજથી થયું છે કે પૈસાની લાલચથી થયું છે તે સમજવું જરૂરી છે.

 

શિક્ષણશાસ્ત્રીઓની સલાહ મુજબ નીતિ ઘડવાને બદલે માત્ર બેક અધિકારીઓએ જ આવાં પુસ્તક રચવાની નીતિ ઘડી છે. તેનો હું સાક્ષી છું. ઘાતક હકીકત એ છે કે તેઓ શિક્ષણ કેડરના જ ન હતાં.


માન. શિક્ષણમંત્રીશ્રીએ કે માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શાળા પાઠ્ય પુસ્તક મંડળની એકેડેમિક કમિટીનો આ નીતિ ઘડવામાં કેટલો અભિપ્રયા લેવામાં આવ્યો તે મારી જાણમાં નથી.


આ અગડમબગડમ થોથા એવા તો લખાયા છે કે જો ખુદ આ લેખકસાહેબોની તેમણે પોતે જ લખેલા આ થોથા આધારિત એક પરીક્ષા લેવામાં આવે - અને તે પણ વિદ્યાર્થીઓની જેમ બધાં વિષયની - તો હમણાં જ નગ્ન સત્ય બહાર આવી જશે. પરિણામ નક્કી જ છે. નાપાસ - નાપાસની હારમાળા રચાઈ જશે. લેખકોની જેમ સમીક્ષકોની પણ પરીક્ષા લેવી જોઈએ.


ગુજરાતનાં ત્રણ ચાર શિક્ષણશાસ્ત્રીઓ, વિજ્ઞાન સ્નાતક એવા નામાંકિત આચાર્ય મિત્રો અને ટ્યુશન ક્લાસનાં સંચાલક મિત્રો પણ આવો જ અભિપ્રાય ધરાવે છે.

 


લેખકો અને સમીક્ષક મિત્રો, વિદ્યાર્થીઓની આત્મહત્યાએ મને આવું લખવાં મજબુર બનાવ્યો છે. આપણે બધાં વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ જ નિષ્ઠુર બની ગયા છીએ. શિક્ષણની પથારી ફેરવી રહ્યાં છીએ. પાપ કરી રહ્યાં છીએ.


લેખક અને સમીક્ષકો મિત્રો, તમે વિદ્યાર્થીઓની ખાતર પણ પરીક્ષા આપજો જ. કારણ કે તેનાં ચોંકાવનારા પરિણામ જાણ્યા વિના હાલની ઘાતક નીતિમાં કોઈ ફેરફાર નહિ જ આવે.


લેખકો માટેની પરીક્ષાનો મારો આગ્રહ એટલા માટે છે કે આ પરિણામ પછી જ સાચુકલી નીતિ ઘડાશે. પછી કોઈ નિર્દોષ વિદ્યાર્થી આત્મહત્યા નહિ કરે.


આ હકીકત જેટલી વિજ્ઞાન પ્રવાહના પુસ્તકોને લાગુ પડે છે તેટલી જ સામાન્ય પ્રવાહનાં પુસ્તકોને પણ લાગુ પડે છે. સામાન્ય પ્રવાહનાં શિક્ષક મિત્રો ખુદ આ કહી રહ્યાં છે.

 

બીજી એક સત્ય હકીકત પણ ધ્યાન પર મૂકું - પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીને સારો માનવ અને સારો નાગરિક બનાવવા માટે છે. હાલમાં ગુજરાતનો પ્રાથમિક શિક્ષણનો જે પાઠ્યક્રમ છે તે યોગ્ય અને પૂરતો છે. પ્રાથમિક શિક્ષણ જે ઘટે છે તે છે વ્યાયામ, રમત, યોગ, સંગીત, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ અને ડીસલેક્સીયા માટેની જાગૃતિ. અન્યથા તે આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે.

 

કોઈને દુઃખ લાગ્યું હોય તો હું ક્ષમા માંગુ છું. સહુના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.


No comments:

Post a Comment