25 March 2016

અમેરીકા પ્રવાસ (૨૦૧૪) - ભાગ ૭

(આ શ્રેણીના બીજા લેખો માટે અહી ક્લિક કરો)

અમેરિકા હતો ત્યારે એક ઘાતક સમાચાર વાંચ્યા. રશિયા પાસેના યુક્રેન પાસેથી પસાર થઇ રહેલાં મલેશિયાનાં એક વિમાનને મિસાઇલથી તોડી પાડવામાં આવ્યું. અમે પણ અમેરિકા આવ્યાં ત્યારે યુક્રેનની આસપાસમાંથી જ પસાર થયાં હતાં. તેથી સમાચાર તરફ વિશેષ ધ્યાન ગયું. આ જ દિવસે અને આજ સમયગાળામાં માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આટલામાંથી જ ક્યાંક પસાર થવાના હતાં. તેઓના રૂટમાં કે સમયમાં બદલાવ કરવામાં આવ્યો હતો તે પણ જાણ્યું. આતંકવાદથી ક્યારેક હેબત ખાઈ જવાય છે. શું ઉકેલ? ઉકેલ છે. અમને ભણવામાં આવતું કે -
વેર ના સામે વેરથી,
વેર સમે અવેરથી.
પૂજ્ય મહાત્મા ગાંધીજી યાદ આવી ગયાં. તેઓનું એક સ્વપ્ન હતું કે આઝાદ ભારતને લશ્કરમુક્ત ભારત બનાવવું. સહુ સાથે પ્રેમથી જીવવું અને સહુને પ્રેમથી જીતવા. પડોશી દેશ પણ લશ્કર ન રાખે. બધાં દેશ લશ્કર પાછળનો ખર્ચ દેશનાં ગરીબી દૂર કરવામાં વાપરે.
કોઈ માઈનાં લાલને આ શેખચલ્લીના વિચાર લાગે. ગાંધીને ન ઓળખનારો ગાંધીને ગાંડો કહેવા સુધી કે ગાળો ભાંડવા સુધી પણ જાય. પરંતુ વીસમી સદીના આ મહામાનવને વાયા યુરોપ જ સમજી શકીશું. યુરોપના ઘણાં દેશ લશ્કર રાખતાં નથી. તેઓને પડોશી દેશ સાથે શાંતિ કરાર કર્યા છે. બધાં શાંતીથી જીવે છે અને પડોશી દેશને શાંતીથી જીવવા દે છે. એટલે તો આ બધાં દેશ પ્રગતિ સાધી શક્યા છે. દશ દિવસની લડાઈ પણ દેશને એક દશકો પાછળ ધકેલી દે.
સમ્રાટ અશોક અને શહેનશાહ અકબરના વખતમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જ ન હતું. હિંદુ મુસ્લિમ બધાં ભાઈચારાથી રહેતાં અને સાથે પ્રગતિ કરતાં. મારી યાદદાસ્ત મુજબ અકબરના શાસનમાં ગૌવધ પર પ્રતિબંધ હતો. તેના શાસનમાં હિંદુ મંદિર સુરક્ષિત હતાં. શહેનશાહ અકબર તો હિંદુ મંદિરને પણ ઘણી મદદ કરતો. અંગ્રેજોએ ઘાલેલો વિવાદ જેટલો વહેલો ઠમશે, જેટલો વહેલો સમજાશે તેમાં સહુનું કલ્યાણ છે.
અમેરિકામાં સિનીયર સીટીઝનો અને વિકલાંગોને સરકાર બહુ માનપાનથી સાચવે. હોસ્પિટલ અને દવાઓના ખર્ચાથી માંડીને મોબાઈલ ફોન પણ મળે! સ્વૈચ્છિક સંસ્થાઓ ઘણું પ્રદાન કરે. આ સંસ્થાઓને સરકાર તમામ મદદ કરે. વિકલાંગોનું રોજેરોજનું ધ્યાન આ સ્વૈચ્છિક સંસ્થાઓ રાખે. વિકલાંગોને તેડવા મૂકવા રોજ વાહન આવે. સાથે સહયોગી પણ આવે. વિકલાંગો પૈડાવાળી ખુરશીથી સરળતાથી હરીફરી શકે એવી રીતે જ રસ્તાઓ અને ફૂટપાઠો તૈયાર કરવામાં આવે. આ માનવીઓ દુકાનો થીયેટર બસ કે  ટ્રેઈનમાં પોતાની જાતે  પૈડાવાળી ખુરશીઓથી કોઈની પણ મદદ વિના જઈ શકે એવી વ્યવસ્થા કરવાનાં  કડક કાયદાઓ પણ ખરાં! બસ અને ટ્રેઈનમાં મોટી ઉંમરના કે વિકલાંગો કે માંદા કે સગર્ભાઓ માટે અગ્ર બેઠકોની વ્યવસ્થા. વિશેષ બાબત તો એ છે કે અન્ય મુસાફરો જાતે ઉભા થઇને એમને પહેલા બેસવા દે.
સિનીયર સીટીઝનો અને અપંગોની બાબતમાં ગુજરાત પણ ઘણું સારું થઇ રહ્યું છે. અનેક અનેક નામધારી સ્વૈચ્છિક સંસ્થાઓ વડીલો અને વિકલાંગોની સારી સેવા કરી રહી છે. આવી કેટલીક સંસ્થાઓને હું નજદીકથી ઓળખું છું.
છતાં પણ સરકારીતંત્રનો એક દાખલો આપું. આપ ચોંકી ઉઠશો. 85 - 90 વરસના એક સ્વાતંત્ર સેનાની અને તેમના પત્નીનો આ કરુણ દાખલો છે. આ વયોવૃધ્ધે દેશની આઝાદી માટે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માન. સ્વ.રતુભાઈ અદાણી સાથે રહી સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધેલો. સર્વ કુરબાન કરી, જીવ જોખમમાં મૂકી દેશ સેવા કરેલી.
દેશ આઝાદ થયો ત્યારે તેઓ સુખી હતાં. તેથી સ્વાતંત્ર સેનાનીઓને મળતું પેન્શન ના લીધું. હવે સંતાન વિહોણાં આ બુજર્ગનો સમય બદલાયો છે. શરીર સાથ દેતું નથી. પૈસાની તાતી જરૂરત છે. સહુનાં કહેવાથી આ સ્વાતંત્રવીરે દુઃખી હૃદયે પેન્શન માટેની અરજી કરી. અનેક વાંધા વચકા કાઢવા ટેવાયેલું તંત્ર કોઈને કોઈ બહાને અરજી પાછી ધકેલે છે. આ બાજુ પત્ની સખત બીમાર છે.
આ કેસમાં સહૃદયી સાંસદશ્રીએ પણ ખૂબ સારો રસ દાખવ્યો. પોતાનાં પક્ષની સરકારને પેન્શન આપવા લખી જણાવ્યું. ભાગ્યે જ કોઈ સાંસદ લખે તેવો સંવેદનાથી ભરેલો પત્ર લખ્યો. સાંસદને પત્ર લખ્યાને પણ આજે ત્રણ ચાર વર્ષ થયાં. તો પણ હજુ પેન્શન મળતું નથી. હવે આ સ્વાતંત્ર સેનાનીએ પેન્શન બાબતે માંડી વાળ્યું છે. આવુ નીંભર તંત્ર ક્યારે અને કોનાથી સુધરશે?
મને પણ એક કડવો અનુભવ થયેલો. અમરેલીની આ ઘટના. મારાં માતુશ્રી અને ભાઈ ગુજરી જતાં વડીલોપાર્જિત ભૂમિમાંથી તેઓનું નામ બાદ કરાવવાનું હતું. ઓફિસની બદદાનત ઓળખી ગયેલો. બહું ધક્કા ખાધા. છેલ્લે પૈસા નહિ પણ પુસ્તક આપ્યા ત્યારે વાત બની. પુસ્તકમાં એક પુસ્તક ‘કર્મનો સિધ્દ્ધાંત’ પણ આપ્યું છે! જો ભ્રષ્ટાચારીનાં મનની કંઇક સફાઈ થાય તો? એક બીજો પણ કડવો અનુભવ થયો છે. તેની વાત કરતાં હું મારી જાતને જ માફ કરી શકું તેમ નથી. તેથી નથી કરતો.
અમેરિકામાં સ્વચ્છતા માટે ઘણી કાળજી લેવામાં આવે છે. રેસ્ટોરંટ, હોટેલ, મોલ કે દુકાનોના ટોઇલેટ પણ એકદમ ચોખ્ખા. પ્લેનમાં તો ટોઇલેટ સફાઈ સારી હોય જ. તો પણ પ્લેનમાં જો આપણાં એશિયન પ્રવાસી વધારે હોય તો ટોઇલેટ ગંધરું થયું જ સમજવું. ભારતનાં એરપોર્ટ ઉપરનાં સેનિટેશનની સ્વછતા કરતાં અમેરીકાના રોડ ઉપરનાં જાહેર સેનિટેશનની સ્વછતા વધારે સારી છે.
સ્વચ્છતા બાબતે આઝાદી પછીનાં એક ખૂબ સારા સમાચાર છે, ખૂબ આવકારવાદાયી સમાચાર છે. માનનીય વડાપ્રધાનશ્રી મોદીસાહેબે સ્વચ્છ ભારતની વાત છેડી છે, 100% સેનિટેશનની વાત છેડી છે. ભારતીય રેલ્વેએ પણ આ બાબતે કમર કસી છે. આ સારી નિશાની છે. આ થવું જ જોઈએ. પરંતુ આ બાબત કીધે નહિ ચાલે, એક વખત સાવરણો લેવાથી નહિ ચાલે. જાતે સતત અને સતત રીતે જોડાઇ રહેવું પડશે. ગાંધીજીનું નામ સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડ્યું છે, તો હવે રોજ સાવરણો લેવો પડશે.
સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે હમણાં એક સમાચારપત્રમાં એક દાદુ કાર્ટુન જોયું. એક નેતા હાથમાં સાવરણો લઈને ઊભા છે. ફોટોગ્રાફર સામે જ ઉભો છે પણ ફોટો પાડતો નથી. નેતા ફોટોગ્રાફરને ફોટો લેવાં કહી રહ્યાં છે. ફોટોગ્રાફર નેતાને કહી રહ્યો છે કે ‘આખી શેરી સાફ કરો પછી જ ફોટો પાડીશ’!
સ્વછતા અભિયાનમાં મહાન ખેલાડી સચિન તેન્ડુલકરે સહીત અનેક નામી હસ્તીઓએ હાથમાં સાવરણો લઇ સફાઈ શરૂ કરી છે. આમેય સચીન સાચા દિલનો માણસ છે. આ સહુને માટે માન ઉપજે છે. જો સહુ સાચા દિલથી અને કાયમી રીતે જોડાઈ રહેશે તો એક દિવસ જરૂરથી શેરી, ગામ, શહેર અને દેશ સ્વચ્છ થશે.
મને અહીં ફરીવાર બુનીયાદી શિક્ષણ યાદ આવે છે. આ શિક્ષણ આપતી સંસ્થાઓમાં પરિશ્રમ ફરજીયાત છે. અહીં કેળવણીનાં એક ભાગ સ્વરૂપે પરિશ્રમ અને સફાઈને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. આ સંસ્થાઓમાં ક્યારેય પણ જશો તો તેની સફાઈ આખે વળગી જશે. માત્ર મેદાની સફાઈ જ નહિ પણ શૌચાલયની સફાઈ પણ ખૂબ સારી હોય છે. આ સંસ્થાઓમાં ગુરુજીઓ અને આચાર્યો પણ સફાઈમાં સાથે જોડાય છે. એટલું જ નહિ, આગેવાની પણ લે છે.
ગુજરાતની સરકારી 33,000 જેટલી પ્રાથમિક શાળાઓમાં પણ સફાઈનું કામ દાદુ હોય છે. આ સફાઈ પણ ગુરુજીઓ અને વિદ્યાર્થીઓ જાતે કરે છે. અહીં પટ્ટાવાળા આપવામાં આવતાં નથી. આ સારું છે. પટ્ટાવાળા નથી માટે વિદ્યાર્થીઓ અને ગુરુજીઓ જાતે સફાઈ કામ કરે છે. પરિશ્રમ કરે છે અને તામસીગુણોને ઘટાડે છે.
શહેરમાં રહેતા કે ધનાઢ્ય લોકો કે થોડુંકેય ભણેલાં લોકો જાતે સફાઈકામ કરવાને હલકું કામ ગણે છે. આ તેઓની બૌદ્ધિક ગરીબી છે.
અમેરિકાની મજા એ છે કે ત્યાં રસ્તામાં ક્યાંયે રખડતાં કૂતરા કે ઢોર જોવા મળતાં નથી. તેમ છતાં કૂતરાઓનો કોઈ પાર નથી. જ્યાં જુઓ ત્યાં કૂતરા જ કૂતરા. એક પણ રખડતું કૂતરું નહી! પણ બધાંજ પાળેલા. કોઈના હાથમાં એક તો કોઈના હાથમાં બે કે ત્રણ. એવું લાગે કે અહીં સંતાનો કરતાં કૂતરાઓની સંખ્યા વધુ છે.
અહીં કૂતરાઓની શાંતિ આશ્ચર્યજનક છે! રસ્તામાં કે બગીચામાં કૂતરાઓ એકબીજા પાસેથી પસાર થાય ત્યારે પણ ભસીને એકબીજા સાથે લડવા ઝગડવાની કે ઘુરકિયા કરતા નથી. જાણે અહિંસાના પુજારી ના હોય?
કુતરા ભલે શાંતિ ચાહક લાગે પણ અમેરિકા જો શાંતિ ચાહે તો આંખું વિશ્વ શાંત થઇ જાય. પણ તેની માટે શું આપણે ત્રીજા વિશ્વ યુદ્ધ સુધી રાહ જોવી પડશે? કોઈ ચિંતકને પૂછવામાં આવેલું કે ત્રીજું વિશ્વ યુદ્ધ કેવું હશે? ચિંતકે બહું ગહન વાત કરી. તેણે કહ્યું કે હું તમને ત્રીજા નહિ પણ ચોથા વિશ્વ યુધ્ધની વાત કરીશ. આ ચોથું વિશ્વ યુદ્ધ પથ્થરથી લડાશે!
બહું વર્ષો પહેલાં એક જ્યોતિષીની આગાહી વાંચ્યાનું યાદ છે. તેણે કહેલું કે ત્રીજું વિશ્વ યુદ્ધ ઇસ્લામ અને ક્રિશ્ચિયન વચ્ચે લડાશે. જ્યોતિષીની આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. વિશ્વની હાલની પરિસ્થિતિ ઘણી સ્ફોટક છે. તેના માટે ઇસ્લામ અને ક્રિશ્ચિયનનાં કેટલાંક માનસિક અપંગ લોકો જવાબદાર છે.
જો કે પર્યાવરણવાદીઓની આગાહી સાવ અલગ પ્રકારની છે. તેઓ કહી રહ્યાં છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે! પાણી માટે? હા, પાણી માટે. જુવોને, ગુજરાત પાસે કેટલું બધું પાણી છે. કુદરતના ચારે હાથ છે. તો પણ ગામડા તરસ્યા છે. ગામડાનો ખેડૂત ખેતીનાં પાણી માટે વલખા મારે છે! ગામડાની સ્ત્રીઓ આજે પણ માથે બેડા લઈને ભર ઉનાળે બાળી નાખે તેવાં તાપમાં દૂર દૂર પાણી ભરવા જાય છે. એક વખતના હરિયાળા ગામડા આજે ભાંગી રહ્યાં છે.  
આથી ઉલટું હું જયારે ગાંધીનગરમાં હતો ત્યારે મારે સરકારી બંગલે ચોવીસ કલાક પાણી આવતું. એટલું જ નહિ, વધારામાં પાણીનો બોર પણ હતો. આપણે તો શહેરવાળાને પાણીનાં જલસા. મોટા માથાનાં વિસ્તારને તો વધુ જલસા. પછાત વિસ્તાર અને ગામડાવાળાઓને ડીંગો.
અમેરિકાએ પાણી માટે જે નેટવર્ક ઉભું કરેલ છે તે દાદુ છે. દરેકે દરેક વિસ્તારને ચોવીસે કલાક પાણી. ઘરના કે બહારનાં કોઈપણ નળમાંથી પાણી પીઓ. તે પીવા લાયક જ હોય! ઘરમાં પણ પીવા માટે અને વાપરવા માટે નોખા નોખા નળ નહિ. એક જ નળ. પાણી વપરાશ માટે મીટર લગાડેલા છે. પાણીની સુવિધાને કારણે અમેરિકામાં ઘરેઘરે બગીચાઓની મજા છે. મસ્ત મજાના બગીચા. શહેરમાં પણ થોડા થોડા અંતરે નાનામોટા બગીચા છે.
અમે જર્સી સિટીની બાજુમાં આવેલાં મજાનાં લીબર્ટી પાર્કમાં બે ત્રણ વાર ગયેલાં. પાર્કની એક બાજુ ન્યૂયોર્ક દેખાય તો એક બાજુ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાય. ચારે બાજુ મિજબાની ચાલતી હોય. ચારે બાજુ નાના મોટા સહુ સાથે મળી રમતાં હોય. પાર્કની એક બાજુ દરિયા કાંઠો અને બીજી બાજુ નદી કાંઠો. મસ્ત હવા. બાંકડા ઉપર બેસવાની મજા. ફરતાં રોડ ઉપર કોઈ દોડતું હોય, કોઈ સાયકલ ચલાવતું હોય તો કોઈ પતંગ પણ ઉડાવતું હોય.




અહીં ફ્લાઈંગ ડીશ રમવાની બહું મજા આવતી. થોડું પણ રમતાં ત્યાં શરીરે પરસેવો વળી જતો. લોથપોથ થઇ જતાં. કારણ દાળભાતયુ અને પરિશ્રમ વિનાનું જીવન.
કેરાલામાં જેનાં માતાપિતાને તરતા આવડતું હોય તેનાં બાળકોને શાળાઓમાં પ્રથમ એડમિશન. પંજાબમાં જેનાં માતાપિતા હોકી કે ફૂટબોલનાં પ્લેયર હોય તેનાં બાળકોને પ્રથમ એડમિશન. અને આપણા ગુજરાતમાં જેનાં માતાપિતાનું ખિસ્સું ભારે હોય તેને પ્રથમ એડમિશન. શિક્ષણ સેવાનું ક્ષેત્ર ગણાતું તેના બદલે નાણા કમાવાનું ક્ષેત્ર બની રહ્યું છે. કોઈને કઈ શરમ નથી. સરકારી નિયમો તો ઘણાં સારા છે, પણ અમલ ક્યાં? અમલ કરાવનારો સ્ટાફ જ સાવ ઘટાડી નાખવામાં આવ્યો છે.
મારાં જીવનમાં એડમિશન બાબતે એક કડવી ઘટના ઘટેલી. હું ભાવનગરમાં શિક્ષણાધિકારી હતો. પ્રજાનાં મૂલ્યવાન આગેવાનો અને જિલ્લાનાં એક બાહોશ IAS અધિકારીનો સાથ મળતાં એડમિશનમાં લેવાતા ફરજીયાત ડોનેશન સામે જંગ છેડેલો. સમગ્ર ભાવનગરે સ્વયંભુ બંધ પાળીને જબરો સાથ આપેલો. અરે, દૂધવાળાઓ પણ દૂધ વેચવાથી દૂર રહેલા. વકીલોએ પણ કોર્ટથી દૂર રહી જબરો પ્રતિસાદ આપેલો. એક જ દિવસમાં એક અપવાદરૂપ સંસ્થાને બાદ કરતાં બધી જ શાળાઓએ લીધેલું ડોનેશન ચેકથી પાછું આપી દીધું. પરંતુ અપવાદરૂપ સંસ્થાએ અને ગાંધીનગરમાં બેઠેલાં સર્વોચ્ચ IAS અધિકારી સાહેબે મને થકવી દીધેલો. એટલું જ નહી પણ આ કારણે મારે, મારાં કુટુંબે અને ખાસ કરીને  દીકરા ગૌરવને પરીક્ષામા ખૂબ સહન કરવું પડેલું. અમે સહન કરી લીધું પણ જરા સરખીયે દાદ નહિ  આપેલી.
લોકશાહી દેશ અમેરિકામાં ઘણાં નિયમો છે. આ નિયમોનું કડકાઈથી પાલન થાય છે. નિયમોનું પાલન માટે જરૂરી પૂરેપૂરો સ્ટાફ છે. કોઈની પણ સાડીબારી રાખ્યાં વિના અમલ થાય છે. સહુ નિયમોનાં અમલ બાબતે ખૂબ જ જાગૃત છે. પ્રત્યેક નાગરિક નિયમોનું સ્વયં પાલન કરતો નજરે પડે છે.
અહીનાં માનવતાને છાજે તેવાં નિયમોની વાત કરું. સામાન્ય રીતે, તમારે ચાલીની રસ્તો ઓળંગવો હોય તો તે માટેની નિયત જગ્યાએથી અને જયારે ઓળંગવાની લાઈટ ચાલુ થાય ત્યારે જ કરાય. છતાં પણ, તમે ભૂલથી પણ રસ્તો ક્રોસ કરતાં હો તો બધાં જ વાહનો તમારાથી દૂર ઊભા રહી જશે. કોઈ તમારાં પ્રત્યે નફરત નહિ કરે. કોઈ હોર્ન નહિ મારે. શાળાનું વાહન નીકળે તો તેને પણ પ્રથમ અગ્રતા આપશે. બધાં જ વાહનો તેનાથી દૂર રહી તેને પ્રથમ પસાર થવા દે. લાખો વાહનોમાંથી ભાગ્યે જ જો એકાદનું હોર્ન વાગે તો. હોર્ન મારવાને અહીં અસભ્યતા ગણવામાં આવે છે.
જયારે સમગ્ર ભારતમાં હોર્ન મારીને વાહન ચલાવવું તે છાતી ફુલાવવા જેવી વાત ગણાય છે. પરંતુ આ  સારી વાત નથી. પશ્ચિમના દેશો પાસેથી આ વાત જેટલી વહેલી શીખીએ તેટલું સારું છે. અવાજનું પ્રદુષણ જે નુકશાન કરે છે તેની આપણને કલ્પના જ નથી.
અમે ચારેક કુંટુંબ બેક સાલ પહેલાં હિમાલયમાં ઉત્તરાંચલમાં ફરવાં ગયેલાં. ઉત્તરાંચલમાં ગામેગામ અને ડુંગરે ડુંગરે શિક્ષણ છે. વિદ્યાર્થીઓની હાજરી ઘણી સારી છે.
હિમાલયનાં આ રાજ્યમાં પ્લાસ્ટિક વાપરવા ઉપર પ્રતિબંધ છે. તેનું ચુસ્તતાથી પાલન પણ થાય છે. કચરો ભાગ્યે જ દેખાય. અમે અહીં સવારના પહોરમાં ભરમોર ગામનાં અતિ પ્રાચીન એવા ચોર્યાસી મંદિરના દર્શને ગયેલાં. એક બાબતે અમારું દિલ જીતુ લીધું. આ ગામમાં સહુ કોઈ સવારે ઉઠીને પોતાનાં ઘરનું આગણું તો સાફ કરે, પરંતુ સાથોસાથ આંગણાની આગળનો શેરીનો ભાગ પણ સાફ કરે. તેની ઉપર પાણી છાંટીને દીવો કરી ભૂમિપૂજન પણ કરે. આ અદ્દભૂત દ્રશ્ય જોઈ અમે સહુ ડોલી ઉઠતાં. પર્યાવરણની આવી હૃદયસ્પર્શી ભાવના મેં ગુજરાતમાં ક્યાંયે જોઈ નથી! આ માટે ઉત્તરાંચલમનાં સંસ્કારી લોકોને લાખ લાખ વંદન છે. આપણે તો તુલસી ક્યારે પણ દીવો કરવાનું ભૂલી ગયા છીએ.
જર્સી સિટીમાં અમે ફરવાં નીકળેલા. ત્યાં સામેથી એક વડીલ બહેન ચાલતા આવે. તે રસ્તામાં ઝાડ ઉપરથી તાજા ખરેલા પાંદડા અને મારાં જેવાં કોઈ મુરખે નાખેલાં કચરાને જાતે ઉપાડી ઉપાડી બાજુની કચરા ટોપલીમાં નાખતા આવે. ગુજરાતમાં આપણે આવું ક્યારેય કરશું? ઉલટાનું આવી વ્યક્તિની હાંસી ઉડાવીશું. કોઈ સ્વભાવગત મને કહેશે કે ભાઈ તું તારું કરને! મને તો મારી માએ નાનપણથી સુટેવ પાડી છે. મને મારી ઓફિસનો કે આસપાસનો કચરો ઉપાડી લેતા પણ ક્યારેય શરમ આવી નથી. આભાર મારી માનો. કોઈ કામ નાનું નથી તેવી કેળવણી મારી માએ અમને નાનપણથી જ આપેલી.
હાલમાં હું જૂનાગઢ જિલ્લાના ચાપરડાના સંત પૂજ્ય મુક્તાનંદબાપુ સાથે 'આનંદધારા' નામથી જાણીતા એક મહત્વાકાંક્ષી અને બહુમૂલ્ય પ્રોજેક્ટમાં જોડાયો છું. યજ્ઞ સમા આ પ્રોજેક્ટ હેઠળ 30 ગામોને આદર્શ બનાવવાનો સંકલ્પ છે. શિક્ષણ અને સ્વછતા તેનો ભાગ છે. પૂજ્ય બાપુ ગામેગામ ગ્રામસભાઓ કરી રહ્યાં છે, ગ્રામવાસીઓને સ્વચ્છતાનું મુલ્ય સમજાવી રહ્યાં છે. બાપુ ગ્રામજનોને કહે છે કે હું પણ તમારી સાથે તમારા ગામમાં સાવરણો લઈને ગામ સફાઈમાં સામેલ થઈશ. આને કહેવાય સંત.
સંત જ્ઞાનેશ્વરજીનો અને ગોળ ખાતા બાળકનો પ્રસંગ યાદ આવી જાય છે. કીધે કઈ થતું નથી. કઈક જાતે કરી બતાવીએ ત્યારે જ પરિણામ આવે છે.
અમેરિકામાં તો રાત્રીના સમયે મશીન વડે રોડ સાફ થઇ જાય. ઘરની બહાર મૂકી દીધો હોય તે કચરો પણ રાત્રીના લઇ જાય. ભીનો કચરો અલગથી રાખવાનો ફરજીયાત. હા, રસ્તાની સફાઈ બાબતે સુરતને જેટલાં પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે. સુરત આપણું આદર્શ બની શકે તેમ છે.
ભાવનગરનાં એક સારા વિસ્તારના ફ્લેટમાં રહેતા લોકોની વાત કરું. ફ્લેટમાં સફાઈ માટે અને કચરો લઇ જવા સેવકો આવે. આ સેવકો ફ્લેટમાં રહેતા સહુને ભીનો કચરો અલગથી રાખવા વારંવાર વિનંતી કરે. છતાં પણ બેક કુંટુંબો સમજતા જ નથી. શું કરવું? આ બધાં પાછાં બહું ભણેલાં છે! કેવું ભણેલાં હશે? બળ્યું આ ભણતર.
આપણા ભણતરની આ જ મુખ્ય ખામી છે. જે ભણવાનું છે તે ભણવા મળતું નથી અને કચરા જેવાં ભણતરનો કોઈ પાર નથી. કચરા જેવી નકામી પરીક્ષાનો પણ કોઈ પાર નથી. હવે યુનિટ ટેસ્ટનો ધંધો કરી સહુને છેતરી રહ્યાં છે.
હા, કચરાનો તો કૈંક ભાવ પણ આવે! આપણા તો કેટલાયે Ph.D. થયેલાંઓ પણ બેકાર બેઠાં છે. કચરાથી પણ નકામાં શિક્ષણનાં ભારથી વિદ્યાર્થીઓ બીચારા આપઘાત કરે છે. કચરાથી પણ નકામાં શિક્ષણનાં કારણે આપણી યુનિવર્સિટીઓનું વિશ્વમાં કોઈ સ્થાન નથી. મૂળ દોષ આપણા નીતિધારકોનો છે, જેમાં ઉચ્ચ અધિકારીઓનો અસહ્ય ચંચૂપાત છે.
અમેરિકામાં અભ્યાસક્રમ નક્કી કરવામાં વાલીઓની સામેલગીરી ફરજીયાત છે. તેઓ અભ્યાસક્રમ ઘડવામાં અમૂલ્ય ફાળો આપે છે. ત્યાનું શિક્ષણ જરૂરિયાત આધારિત, વિસ્તાર આધારિત અને સંશોધન આધારિત હોય છે. જયારે અહીં તો સરકારે સમગ્ર દેશમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી રચી છે. પણ અપવાદને બાદ કરતાં હજુ તે પરિણામદાયી બની શકી નથી. તેમ છતાં આપણી સરકારનો આ પ્રયાસ ખૂબ આવકાર્ય છે.
મે એક ખુલ્લા આક્રોશમય લેખમાં લખેલું કે કર્મયોગી તાલીમ સમયે લેવાતી શિક્ષકોની પરીક્ષામાં ખુદ શિક્ષકોને ચોરી કરવી પડે છે. કેટલાંક લેખકોએ અને સમીક્ષકોએ એવા તો અગડમ બગડમ પુસ્તકો લખ્યાં છે કે ખુદ શિક્ષકોને પણ સમજાતું નથી. આથી મે આવા લેખકોને, તેઓએ જે ધોરણનું જે વિષયનું પુસ્તક લખ્યું છે તેની જાહેરમાં પરીક્ષા આપવાં લખેલું. પણ હજી સુધી કોઈ માઈનો લાલ આ માટે તૈયાર થયો નથી. આ છે આજના પુસ્તકો. આ છે આજનું શિક્ષણ. હવે તમે ક્યારે જાગશો? શું તમે તમારુ બાળક કઈક અઘટિત કરી બેસે તેની રાહ જુઓ છો?
અમેરિકામાં ગ્રેજ્યુએટ થનારા જૂજ છે. તો પણ ઓછું ભણેલાં માલિક છે અને પરદેશી મોટી મોટી ડીગ્રી ધારકો તેના કર્મચારીઓ છે. વાસ્તવિક દર્શન આ છે. આ સત્ય આપણે સ્વીકારવું જ પડશે. સ્વીકારીશું તો શિક્ષણને સુધારવાનો કોઈક માર્ગ મળશે. બાકી રામ રામ.

No comments:

Post a Comment